ગેરરીતિને પગલે બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માગણી સાથે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે.વિસ્ટા ગાર્ડન ખાતે અનેક ઉમદવારો રસ્તા પર બેસી રહ્યા છે. ત્યારે આંદોલનના પ્રણેતા અને સીટની રચના બાદ અધવચ્ચેથી આંદોલન છોડનાર યુવરાજસિંહએ VTV પર મોટા ખુલાસા કર્યા હતા.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા આંદોલન મામલો
VTV પર યુવરાજસિંહે કર્યા મોટા ખુલાસા
VTV સાથે યુવરાજસિંહે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સીટ જો યોગ્ય તપાસ નહીં કરે તો ફરીવાર આંદોલન કરવામાં આવશે, આ સાથે તેમણે જણાવ્યું હતું કે, તેમણે સીટ સમક્ષ પુરતા પુરાવાઓ રજૂ કર્યા છે.
સીટને આપ્યા પુરતા પુરાવા : યુવરાજસિંહ
આ પુરાવાઓ પરીક્ષા રદ્દ કરવા માટે પુરતા છે. તેમ છતાં જો સીટ દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ બાદ પણ જો રાજ્ય સરકાર બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવા માટે નનૈયો ભણે છે તો વિદ્યાર્થીઓ સાથે મળીને તેઓ ફરીવાર ગાંધીનગરના રસ્તા પર ઉતરી આવશે અને આંદોલનને વધુ મજબૂત રીતે ચલાવવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષા દરમિયાન સુરેન્દ્રનગરના 2 પરીક્ષા સ્થળો પર ગેરરીતિ થયાના CCTV ને લઇને રાજ્યભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો અને યુવરાજ સિંહની આગેવાની હેઠળ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અધવચ્ચે છોડ્યું હતું આંદોલન
જો કે, રાજ્ય સરકારના પ્રતિનિધિ પ્રદિપ સિંહ જાડેજા અને યુવરાજસિંહની સંયુક્ત પત્રકાર પરીષદમાં સીટની રચના અંગેની જાહેરાત થયાં બાદ યુવરાજ સિંહે આંદોલન સમેટી લેવાની વાત કરી હતી અને પોતે અધવચ્ચેથી આંદોલન છોડીને ભાગી ગયા હતા. જો કે આજરોજ તેઓ VTV માં હાજર થયાં હતા અને કેટલાક મોટા ખુલાસાઓ કર્યા હતા.