ગાંધીનગરમાં બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારોનું આંદોલન ત્રીજા દિવસે પણ યથાવત્ છે. ત્યારે હવે આજથી ઉમેદવારોએ ઉપવાસ શરૂ કર્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. જેની આજે પ્રથમ બેઠક પણ મળી હતી. બીજી તરફ ઉમેદાવારો પરીક્ષા રદ્દ કરવા માટે ધરણા પર છે. ત્યારે શા માટે ઉમેદવારો SITની રચનાથી ખુશ નથી?
બિન સચિવાલય ક્લાર્કના ઉમેદવારના ધરણા હજુ પણ યથાવત્
ગાંધીનગરમાં SITની પ્રથમ બેઠક મળી
ઉમેદવારોની સાથે વિપક્ષ પણ લડતમાં જોડાયું
આજથી આંદોલનકારી ઉમેદવારોના ઉપવાસ શરૂ
બિન સચિવાલય પરીક્ષામાં સામે આવેલ વ્યાપક ગેરરીતિઓ બાદ ઉમેદવારોની સાથે વિપક્ષ પણ લડતમાં જોડાયું છે. ત્યારે એક તરફ કેટલાક આંદોલનકારીઓ SITની રચનાથી ખુશ છે તો મોટી સંખ્યામાં ઉમેદવારોનો SITથી નારાજ પણ છે. કારણ કે ઉમેદાવોરના પ્રતિનિધિનો SITમાં સમાવેશ નથી કરાયો. હજારો ઉમેદવારો સતત ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે.
ઉમેદવારોએ આ આકરી ઠંડીમાં રાત રોડ પર સુઇને વિતાવી તો કોઇએ ખીચડી બનાવીને ખવરાવી. પરંતુ ઉમેદવારો પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે હવે ઉપવાસ પર બેઠા છે. આ ઉપવાસમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા છે.
33 જિલ્લા 33 પ્રતિનિધિના પ્રતિક ઉપવાસ
બિન સચિવાલય પરીક્ષા કોભાંડ મામલે કોંગ્રેસ 33 જિલ્લામાંથી 33 પ્રતિનિધિઓ પ્રતિક ઉપવાસ પર. અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓ ઉપવાસમાં જોડાશે. પરીક્ષાર્થીઓની લડતને કોંગ્રેસ આગળ ધપાવશે. વિખેરાઇ રહેલા આંદોલનને વિપક્ષે બળ પુરુ પાડ્યું છે.
ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહીં
ગેરરીતિ કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરાય
ગેરરીતિ કરાવનારા સામે કાર્યવાહી થાય
પેપર લીકના પુરાવાના અનુસંધાને પરીક્ષા રદ્દ કરાવાય
ગાંધીનગરમાં SITની પ્રથમ બેઠક મળી
ગુજરાતમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે ગાંધીનગરમાં SITની પ્રથમ બેઠક મળી હતી. અગ્ર સચિવ કમલ દયાનીની અક્ષ્યક્ષતામાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા. સાથે જ યુવરાજ જાડેજા અને હાર્દિક પ્રજાપતિ સહિતના ઉમેદવારો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિ મામલે ચર્ચા કરવામાં આવી હતી. SITની અધ્યક્ષતા કમલ દયાની કરી રહ્યા છે. તો SITમાં મનોજ શશીધરન, મયંકસિંહ ચાવડા, જવલંત ત્રિવેદીનો સમાવેશ થાય છે. 10 દિવસમાં SITનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી પરિણામ પણ જાહેર કરવામાં નહીં આવે.
વિપક્ષનું ઉમેદવારોને સમર્થન
કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો અને નેતાઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, અમિત ચાવડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ જોડાયા છે. તો આંદોલન મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તો બીજી તરફ હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યા છે. અને પરીક્ષા રદ્દ કરવા માગ કરી છે. વિદ્યાર્થીઓના આંદોલનને મજબૂત બનાવવા હાર્દિક અને જિગ્નેશ મેવાણી જોડાયા છે.
કોઈપણ રાજકીય પાર્ટી આંદોલનમાં આવી શકે છેઃ હાર્દિક પટેલ
ગાંધીનગરમાં ઉમેદવારોના ધરણા મામલે હાર્દિક પટેલે કહ્યું કે આ આંદોલન અમારું નથી. કોઈપણ પોલિટીકલ પાર્ટી આંદોલનમાં આવી શકે છે. આ લડાઈ વિદ્યાર્થીઓની છે.. આ સાથે જ હાર્દિક પટેલે કહ્યું કે ગઈકાલે ABVPના લોકો પણ અહીં આવ્યા હતા. જોકે તેમનો વિરોધ થયો હતો. અને બાદમાં વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારે પરીક્ષા રદ કરાવવી છે. જેથી અમે માત્ર એ લોકોને સપોર્ટ કરવા માટે આવ્યા છે.. સાથે જ કહ્યું કે સરકારે યુવકોની તકલીફ સમજવી જોઈએ.
SITની રચના 'કુલડીમાં ગોળ ભાગવા' માટે થઈઃ જીગ્નેશ મેવાણી
12 લાખ વિધાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા કરનાર કૌભાંડની તપાસ થવી જ જોઈએ. નવેસર થી પરીક્ષાની જાહેરાત કરવામાં આવે તો સારૂ. આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય. અમારુ વિદ્યાર્થીઓને પુરુ સમર્થન છે. એસઆઈટી ( SIT )ની રચના 'કુલડીમાં ગોળ ભાગવા' માટે થઈ.
ગુરૂવારે સરકારે શું લીધો નિર્ણય ?
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકારે SITની તપાસ માટે રચના કરવામાં આવશે. SITમાં રાજ્યના અગ્રસચિવ કમલ દયાણી ચેરમેન રહેશે. SITમાં એડિશનલ DGP સભ્ય રહેશે. પરીક્ષામાં ગેરરીતિની તપાસ SIT કરશે. ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડા સભ્ય રહેશે. સંપૂર્ણ તપાસ બાદ જ રિપોર્ટ જાહેર કરાશે. SITનો રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય. વિદ્યાર્થી નેતાઓની માગનો સ્વીકાર કરાયો છે. અહેવાલ 10 દિવસમાં SIT સરકારને સોંપશે. SITના રિપોર્ટ બાદ સરકાર આગળનો નિર્ણય કરશે. આજે SITની પ્રથમ બેઠક મળી હતી. SITમાં ગૌણ સેવા મંડળનો કોઈ સભ્ય નહીં.
શું છે સમગ્ર મામલો ?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.
ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.