બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે આંદોલન કર્યું છે. રાજ્યના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા રદ્દ કરાવવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. ત્યારે વિવાદ વકરતા મુખ્યમંત્રીએ આ મામલે તાત્કાલિક બેઠક બોલાવી હતી.
ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવા વિદ્યાર્થીઓનું આંદોલન
સરકારના કોઈ મંત્રી કે અધિકારી ઉમેદવારો સાથે ચર્ચા નહીં કરે
હાલ પરીક્ષા રદ્દ કરવા મામલે સરકારનું સ્ટેન્ડ યથાવત્
દિવસ દરમિયાન આંદોલન બાદ આ મામલે મુખ્યમંત્રી રૂપાણીના નિવાસસ્થાને બેઠક મળી હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઘટનાક્રમ અંગે મુખ્યમંત્રી રૂપાણીને જાણકારી આપી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, ઉમેદવારો સાથે સરકાર ચર્ચા નહીં કરે. સરકારના કોઈ મંત્રી કે અધિકારી ઉમેદવારો સાથે ચર્ચા નહીં કરે. મીડિયા સમક્ષ અપાયેલા નિવેદનોથી પણ વાકેફ કરાયા છે. હાલ પરીક્ષા રદ્દ ન કરવા મામલે સરકારનું સ્ટેન્ડ યથાવત્ છે. સરકારે પરીક્ષા રદ્દ નહી કરવાનો નિર્ણય કર્યો છે.
આ સમગ્ર મામલે તપાસ કરવાની ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે પ્રદિપસિંહ જાડેજાએ બે દિવસમાં તપાસ કરવાનું નિવેદન આપ્યું હતું. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનો દાવો કર્યો છે. તેમજ 2 દિવસમાં સરકાર એક્શન લેશે તેવી ખાતરી આપી છે. જે સંડોવાયેલા છે તેમની સામે પગલા લેવાશે તેવી બાંહેધરી તેમણે આપી છે. આ મામલે તપાસ અર્થે સંચાલકો અને નિરીક્ષકોને બોલાવવામાં આવશે અને આવતીકાલથી ગૌણ સેવા પસંદગી મંડળ આ સમગ્ર મામલે સુનાવણી શરૂ કરશે તેમે પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમજ જે પેપર લીક થયું છે તે ખોટું હોવાનો દાવો તેમણે કર્યો છે.
કોંગ્રેસ સરકાર પર લગાવ્યા હતા આક્ષેપ
કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, બિનસચિવાલયના 14 દિવસ બાદ સરકારે કોઈનુ સાંભળ્યું નથી. પરંતુ વિપક્ષે CCTV સામે લાવ્યા બાદ જ સરકારે ગેરરીતિ થઈ હોવાનું સ્વીકાર્યું છે. જો કે અમે આ મામલે વિરોધ કરતા હતા ત્યારે લાઠીઓથી માર્યા હતા. કોંગ્રેસે સરકાર યુવાનોને સાથ ન આપતી હોવાનો દાવો કર્યો છે. તેમજ આ મામલે આગામી દિવસમાં ન્યાય કુચ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કોંગ્રેસ ઉમેદવારોને ભડકાવી રહી છેઃ ભાજપ
બિનસચિવાલયની પરીક્ષા અંગે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં કોંગ્રેસ. કોંગ્રેસના આક્ષેપ બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ચોરી કરનાર કે પરીક્ષા આપનારની સાથે તે નક્કી કરે. કોંગ્રેસ રાજકારણ કરવા માટે રાજ્યમા અરાજકતા ફેલાવી ઉમેદવારોને ભડકાવવાનું કામ કરી રહી છે.