ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવા ઉમેદવારો હજુ પણ અડગ છે. સરકારે ઉમેદવારો સાથે કોઇપણ ચર્ચા ન કરવાનો નિર્ણય કર્યો છે. સાથે પરીક્ષા રદ્દ નહીં કરવાનો નિર્ણય પણ યથાવત્ રખાયો છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ગાંધીનગરમાં ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન, નારા સાથે આંદોલન ચાલ્યું હતું. ત્યારે હવે સરકારના આ નિર્ણય બાદ પણ ઉમેદવારો અડગ છે. બુધવાર મોડી રાત્રે પણ VTVGujarati.Comએ ઉમેદવારોઓ સાથે વાત કરી હતી.
ગાંધીનગર વિધાનસભા ખાતે ઉમેદવારોના ધરણા
મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોનો વિરોધ યથાવત
ઉમેદવારોએ સરકાર પર આક્રોશ ઠાલવ્યો
મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર વિધાનસભા ખાતે પોતાની માંગને લઇને ધરણા પર બેઠા છે. ઉમેદવારો અડગ અને આક્રોશમાં પણ છે. ત્યારે VTVGujarati.Comએ કેટલાક વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા લીધી હતી.
સરકારની જેમ અમારૂ પણ સ્ટેન્ડ ક્લિયરઃ યુવરાજસિંહ
આ મામલે આંદોલનકારી યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, સરકારે તેમનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે તો અમે પણ અમારૂ સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. અમારા ધરણા ત્યાં સુધી ચાલું રહેશે જ્યાં સુધી સરકાર આ પરીક્ષા રદ્દ ન કરે.
અમે લડી લેવાના મૂડમાં છીએઃ ઉમેદવાર
ધાંગધ્રાના એક ઉમેદવારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન નેતાઓ કહેતા હતા કે અન્યાય વખતે અમે તમારી સાથે હશું, પરંતુ જ્યારે અમને તેની જરૂર છે ત્યાર તમે પોતાનો પક્ષ મુકીને અમારી સાથે આવો. અમારો નિર્ણય ગાંધીચિંધ્યા માર્ગે હશે, અમે લડી લેવાના મૂડમાં છીએ.
મહત્વનું છે કે, ગાંધીનગરમાં ઉમેદવારો સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. પરીક્ષા રદ્દ કરવા ઉમેદવારો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. આંદોલન પર યુવાનો હજુ પણ અડીખમ છે. ઉમેદવારો ગાંધીનગર છોડવા તૈયાર નથી.
હાલ પરીક્ષા રદ ન કરવા સરકાર મક્કમ
હાલ સરકારે પરીક્ષા રદ કરવા મામલે સ્ટેન્ડ યથાવત રાખ્યું છે. આ મામલે CMના ઘરે મળેલી બેઠકમાં ઉમેદવારો સાથે સરકાર કોઈપણ પ્રકારની ચર્ચા નહીં કરે તેવો નિર્ણય કરાયો છે. સરકારના કોઈ મંત્રી કે અધિકારી ઉમેદવારો સાથે ચર્ચા નહીં કરે. આ બેઠકમાં પ્રદિપસિંહે સમગ્ર ઘટનાક્રમ અંગે CMને જાણકારી આપી હતી. તેમજ મીડિયા સમક્ષ અપાયેલા નિવેદનોથી પણ CM વિજય રૂપાણીને વાકેફ કરાયા હતા.
આપને જણાવી દઈએ કે, બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા રદ કરવાની સતત માગ કરી રહ્યા છે. જો કે સરકારે પરીક્ષા રદ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.