વહીવટી કારણ ઘર્યુ પણ પડદા પાછળનું કારણ ગોપનીય રહેશે: યુવરાજસિંહ જાડેજા
વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ 3 વર્ષમાં ચોથી ઘટના છે. વિદ્યાર્થીઑ માટે પરીક્ષા રદ્દ થવી કે મોકૂફ રાખવામાં આવી હોય તે સામાન્ય બાબત થઈ ગઈ છે. સરકારે 2018માં જાહેર કરેલી ભરતી વિવિધ કારણસર 4 વખત મોકૂફ રાખી છે. હાલ તો વહીવટી કારણોનું બહાનું આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ ગૌણ સેવા મંડળ કહી રહ્યું છે. પણ પડદા પાછળની હકીકત કઈક અલગ જ છે તેવુ યુવરાજસિંહનું માનવું છે. તેમણે વધુમાં કહ્યું કે 4 દિવસ બાદ પરીક્ષા યોજાવવાની હતી. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ હતી. જિલ્લા ક્લેક્ટરથી લઈ પોલીસ કાફલા સુધી વ્યવસ્થા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ્દ થવી તેના પાછળ કોઈ મોટું જ કારણ હોઈ શકે. આવા વારંવાર નિર્ણયથી વિદ્યાથી પર માનસિક ત્રાસ વધી રહ્યો છે. પરીક્ષા મોકૂફ કેમ રખાઇ એ તપાસનો વિષય છે.
3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારોનું ભાવિ પણ મૌકૂફ
બિન સચિવાલય કારકુન વર્ગ-3 સંવર્ગ તેમજ સચિવાલય માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જે માટે બપોરે 12 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો. પરીક્ષાના કોલલેટર પણ મોટા ભાગના ઉમેદવારોએ ડાઉનલોડ કરી લીધા હતા. પણ હવે વહીવટી કારણ આગળ ધરી ફરી પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય લીધો છે.બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યા માટે કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
બિનસચિવાલય પરીક્ષા 3 વર્ષથી ગોથે ચડી
ઓકટોબર 2018માં જાહેરાત થઈ
ધોરણ 12 વિદ્યાથીને પરીક્ષા માંથી બાકાત રાખતા આંદોલન થયું
2019માં ભરતી ગેરરીતિને કારણે રદ્દ કરવામાં આવી
રદ્દ થયા બાદ કોરોના સ્થિતિને કારણે ભરતી 2 વર્ષ મોડી યોજવામાં આવી
22 નવેમ્બર 2021ના રોજ ભરતી પરીક્ષાની તારીખ જાહેર થઈ
29 જાન્યુઆરી 2022થી કોલલેટર કાઢવાની પ્રક્રિયા શરૂ થઇ
9 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી