આ શપથ ગ્રહણ સમારોહમાં નરેન્દ્ર મોદીની સાથે તેમનું મંત્રીમંડળ પણ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહને લઈ સુત્રોએ કહ્યું છે કે, આ સમારોહમાં બે ઓફ બંગાળ ઈનિશિએટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશન (BIMSTEC)ના તમામ નેતા સામેલ થશે.
સુત્રોનું માનીએ તો બિમસ્ટેકમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાલ અને ભૂટાન દેશ સામેલ છે. તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીના શપથ ગ્રહણમાં સામેલ નહીં થઈ શકે તેવી ચર્ચા છે. શેખ હસીના કેમ સામેલ નહીં થાય તે અંગે હજુ કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. તેમના બદલે બાંગ્લાદેશ સરકારમાંથી કોઈ મંત્રી શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. તો સૌથી ખાસ વાત તો એ છે કે, આ શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
ગુરુવારે નરેન્દ્ર મોદી બીજીવાર પીએમ પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં વિદેશી મહેમાનો અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદીને પીએમ પદના શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે સાત વાગ્યે શરૂ થશે.