કોરોનાની ફર્સ્ટ વેવ વખતે એપ્રિલ અને મે-2020 આ બે મહિનામાં લોકડાઉનને કારણે AMTS પૂર્ણપણે બંધ હતી, તેમ છતાં ઓપરેટરોને રૂ.7.75 કરોડ ચૂકવ્યા હતા
અમદાવાદમાં AMTSને રૂપિયા 18 કરોડનું નુકસાન
નુકસાનમાં AMTS છતાં ખાનગી ઓપરેટરોને 7 કરોડ ચૂકવ્યા
બીજી વેવમાં પણ ખાનગી ઓપરેટરો પર બીજી વખત ધનવર્ષા
કોરોનાની સેકન્ડ વેવમાં એપ્રિલ અને મે મહિનો અમદાવાદીઓ માટે બિહામણા બન્યા હતા. હજારો લોકોના ધંધા-રોજગાર ચોપટ થઈ જવાથી તેઓ આર્થિક રીતે બેહાલ થઈ ગયા હોઈ હજુ પણ નિરાંતનો શ્વાસ લઈ શક્યા નથી. સેંકડો આશાસ્પદ યુવાનોએ નોકરી ગુમાવવી પડી છે. ઓછા પગારમાં ઘર-પરિવારને ચલાવવો પડ્યો છે. ચારે બાજુ ફેલાયેલી મંદીથી નાગરિકોના ચહેરાનું નૂર હણાઈ ગયું છે. જોકે આવા કપરા કાળમાં AMTSને પણ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. તેમ છતાં AMTSના ખાનગી ઓપરેટરોને તો જલસા જ જલસા થવાના છે, કેમ કે, ટેન્ડરની વિચિત્ર શરતોના કારણે આ ઓપરેટરોને મ્યુનિ. તિજોરીમાંથી ફરી કરોડો રૂપિયા ચૂકવવાનો તખતો તૈયાર થઈ ચૂક્યો છે.
AMTSમાં ખાનગીકરણની બોલબાલા હોઈ હવે કુલ 650 બસ પૈકી સંસ્થાની માલિકીની માંડ 50 બસ રહી છે. અગાઉ નાગરિકો 'લાલ બસ' જોઈને તેમની ઘડિયાળના કાંટા મેળવતા હતા, પરંતુ ખાનગી ઓપરેટરોની મનમાનીથી AMTS બસની પ્રતિષ્ઠાના લીરેલીરા ઊડી ગયા છે. આ સંસ્થા આજે અબજો રૂપિયાનાં દેવાંની ખાઈમાં ધકેલાઈ ગઈ છે.
પહેલાં AMTS બસના સંચાલનનો અભ્યાસ કરવા દેશભરનાં શહેરોનાં પ્રતિનિધિમંડળ આવતાં હતાં. હવે AMTSના ભ્રષ્ટ વહીવટનો અભ્યાસ કરવાની જરૂર ઊભી થઈ છે. મ્યુનિ. તંત્રની કરોડો રૂપિયાની ગ્રાન્ટની કાખઘોડીએ ચાલતી AMTSને દેવાદાર બનાવવામાં તંત્ર અને શાસકોનો ખાનગી ઓપરેટરો પ્રત્યેનો આંધળો મોહ જ જવાબદાર છે.
કોરોનાની ફર્સ્ટ વેવ વખતે એપ્રિલ અને મે-2020 આ બે મહિનામાં લોકડાઉનને કારણે AMTS પૂર્ણપણે બંધ હતી. ખાનગી ઓપરેટરોની એક પણ બસ ડેપોની બહાર નીકળી નહોતી તેમ છતાં મહેરબાન સત્તાધીશોએ 30 ટકા પેમેન્ટ મુજબ આ ઓપરેટરોને રૂ. 7.75 કરોડ ચૂકવ્યા હતા. તે વખતે AMTS સંસ્થાને લોકડાઉનથી રૂ. 18 કરોડનું નુકસાન થયું હતું. તેમ છતાં ખાનગી ઓપરેટરોએ તેમના કર્મચારીઓનો પગાર ચૂકવ્યો હતો તેવી વિચિત્ર દલીલ શાસકોએ કરી હતી. ભાજપના સત્તાધીશોએ ટેન્ડરની શરતનું બહાનું પણ આગળ ધર્યું હતું. આમ તે વખતે કોરોનાકાળ હોવા છતાં AMTS સંસ્થાને શાસક પક્ષે જ ખાનગી ઓપરેટરો પ્રત્યે ઓળઘોળ થઈને કમરતોડ ફટકો માર્યો હતો.
હવે કોરોનાની સેકન્ડ વેવમાં પણ AMTS સંસ્થાને જબ્બર આર્થિક નુકસાન થયું છે. ગત તા. 18 માર્ચથી AMTS બસ સેવાને બંધ કરાઈ હતી, જે હજુ માંડ માંડ ગત સોમવારથી ચાલુ કરાઈ છે.અત્યારે 50 ટકા બસ અને 50 ટકા પેસેન્જર સાથે બસ ચાલી રહી હોઈ સંસ્થાને ફક્ત દસ ટકા પેસેન્જર મળી રહ્યા હોઈ તેમાં પણ તંત્રની આવકમાં દરરોજ લાખો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. આ 81 દિવસ બસ બંધ રહેવાથી AMTSને રૂ. 13 કરોડની આવક ગુમાવવી પડી હતી, બીજી તરફ AMTSના પોતાના કર્મચારીઓનો પગાર મ્યુનિ. તિજોરીમાંથી દર મહિને નાણાં આવે ત્યારે ચૂકવાય છે. આશરે રૂ. 60 લાખના પગાર માટે AMTS સંસ્થા મ્યુનિ. તંત્ર પર ઓશિયાળી છે. તેમ છતાં ખાનગી ઓપરેટરો માટે તેમના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ફરી કરોડો રૂપિયા ચૂકવવાનો તખતો તૈયાર કરાયો છે.
ખાનગી ઓપરેટરો પર બીજી વખત ધનવર્ષા થવાની છે. અગાઉની જેમ ટેન્ડરની શરતના આધારે ૩૦ ટકા પેમેન્ટ કરીને AMTSના સત્તાવાળાઓ અને શાસકો ખાનગી ઓપરેટરોને આર્થિક રીતે ન્યાલ કરી દેવાના છે. આ માટે તંત્રે દરખાસ્ત પણ તૈયાર કરી હોઈ આવતા સોમવારે મળનારી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં ચેરમેન વલ્લભ પટેલ તેને લીલીઝંડી પણ આપવાના છે. તેમને આ દરખાસ્તમાં કંઈ અજુગતું લાગતું નથી. બીજી તરફ તેમની ખુદની સંસ્થાના કર્મચારીઓનો પગાર કરવા દર મહિને મ્યુનિ. તંત્ર આગળ ભીખ માગવી પડે છે. શું ખાનગી ઓપરેટરોને રૂ. ૭.૫૦ કરોડ જેટલી જંગી રકમ તેમના કર્મચારીઓના પગાર કરવા ચૂકવાય તેવો આંધળો વહીવટ વાજબી છે? આવા ધડ-માથાં વગરના સંચાલનથી શું જતે દહાડે AMTS કાયમ માટે બંધ કરવાનો વારો નહીં આવે? હવે તો AMTS સંસ્થાનો ઉધ્ધાર કોઈ ચમત્કાર જ કરી શકે તેમ છે.