દુનિયાભરમાં ભયંકર ઝડપથી ફેલાતા જતા જીવલેણ કોરોના વાઈરસના કારણે વૈશ્વિક અર્થતંત્રને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોરોનાના કારણે ભારત સહિતના દુનિયાના ટોચના ૧૫ દેશોને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, ભારતના વેપારને કોરોનો વાઈરસથી લગભગ ૩૪૮ મિલિયન ડોલર (અંદાજે ૩.૪૭ કરોડ ડોલર)નું નુકસાન થવાનો અંદાજ છે.
કોરોના ઈફેક્ટઃ ભારત સહિત ૧૫ દેશોને અબજોનું નુકસાન, અનેક ક્ષેત્રમાં નોકરીઓ પર જોખમ
એરલાઈન્સ અને પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ પર સૌથી વધુ અસર થશે
રિપોર્ટ અનુસાર, કોરોનાના કારણે ચીનને સૌથી વધુ નુકસાન થશે. ચીનની વૈશ્વિક નિકાસમાં ૫૦ અબજ ડોલરનો ઘટાડો થઈ શકે છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાં મશીનરી, ઓટોમોબાઈલ અને કોમ્યુનિકેશન્સ ઉપકરણો સામેલ છે.
વિશ્વના જે અર્થતંત્ર પર કોરોનાનો માર સૌથી વધુ પડ્યો છે તેમાં યુરોપિયન યુનિયન (૧૫.૬ અબજ ડોલર), અમેરિકા (૫.૮ અબજ ડોલર), જાપાન (૫.૨ અબજ ડોલર), સાઉથ કોરિયા (૩.૮ અબજ ડોલર), ચીનના તાઇવાન પ્રાંત (૨.૬ અબજ ડોલર) અને વિયેટનામ (૨.૩ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. ઓઇસીડીએ પણ કોરોનાને લીધે વૈશ્વિક જીડીપી માં ૫૦ બેઝિસ પોઇન્ટ (૨૦૧૯માં ૨.૯ ટકાથી ૨.૪ ટકા)નો અંદાજ લગાવ્યો છે.
એશિયન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું છે કે, વિકાસશીલ એશિયન અર્થવ્યવસ્થા પર કોરોનાની મોટી અસર પડશે. સીઆઈઆઈના દાવા અનુસાર, ચીન ભારતના ટોચના ૨૦ સામાનની ૪૩ ટકાની આયાત કરે છે. તેમાં મોબાઇલ હેન્ડસે, કમ્પ્યુટર અને પાર્ટ્સ, ખાતર મુખ્ય છે. કોરોનાને કારણે ચીનની અર્થવ્યવસ્થા પર ભારે અસર થવાને કારણે તેની ભારત પર પણ વ્યાપક અસર પડશે.
કોરોનાના કારણે જે સેક્ટર પર સૌથી વધુ માઠી અસર થવાની છે તેમાં એરલાઈન્સથી લઈને પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં મોટા પાયે નોકરીઓ જવાની સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કોરોના વાઈરસના કારણે દુનિયાભરના ૨૫ કરોડ લોકોની નોકરી છિનવાય તેવી આશંકા છે.