લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને દેશમાં અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તે માટે સરકાર એક નવી લગામ લગાવવા જઈ રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં મોટર વ્હીકલ બિલને સંશોધન સાથે રજૂ કર્યું.
નીતિન ગડકરીએ રજૂ કરેલા બિલમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે નશાની હાલતમાં ડ્રાયવિંગ કરનાર વ્યક્તિ પાસેથી 2 હજારના બદલે 10 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે. જ્યારે હેલમેટ વગર ટુ વ્હીલર ચલાવનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ અને 3 મહિના માટે લાયસન્સ જપ્ત કરી લેવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.
હાલમાં જો કોઈ વ્યક્તિ હેલમેટ વગર ડ્રાયવિંગ કરે છે તો તેની પાસેથી માત્ર 100 રૂપિયાનો જ દંડ વસુલવામાં આવે છે. ડ્રાયવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનાર પાસેથી 500 રૂપિયાને બદલે પાંચ હજાર રૂપિયા વસુલવાનો પ્રસ્તાવ મંત્રાલયે મુક્યો છે. સીટબેલ્ટ વગર વાહન ચલાવનાર પાસેથી લેવાતો દંડ 100 રૂપિયાથી વધારીને એક હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.
ડ્રાયવિંગ સમયે મોબાઈલનો ઉપયોગ કરનાર પાસેથી હાલમાં 1 હજાર રૂપિયા દંડ પેટે વસુલવામાં આવે છે પણ જો બીલ પાસ થશે તો નવા નિયમ પ્રમાણે 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સરકાર નવા બિલમાં આકસ્મિક સમયે એમ્બ્યુસલન્સ જેવા વાહનોને રસ્તો ન આપનારને પણ દંડવાનો પ્રસ્તાવ લાવી રહ્યાં છે.
અત્યાર સુધી જો એમ્બ્યુલન્સને રસ્તો ન આપવામાં આવે તો કોઈ દંડ થતો ન હતો. નવા બિલમાં 10 હજાર રૂપિયાના દંડનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ બિલને કાયદો બનાવવા માટે અને નિયમો લાગૂ કરવા માટે પહેલા લોકસભા અને રાજ્યસભામાં પાસ કરવો પડશે.
જો આ બિલ પાસ થશે તો વાહનચાલકો પાસેથી લેવાતા દંડમાં 5થી 10 ગણાનો વધારો થઈ જશે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આ બિલ લોકસભામાં તો પાસ થઈ ગયું હતું પણ રાજ્યસભામાં અટકી પડ્યું હતું. જો કે સરકાર ફરીથી આ બિલને સંસદના પટલ પર લાવી છે.