31મી ડિસેમ્બર 2003ની ગોઝારી રાતે અમદાવાદની 24 વર્ષની બીજલ જોષી ઉપર બળાત્કારની દર્દનાક ઘટના ઘટી હતી જેના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા. આ કેસમાં દુષ્કર્મ કરનારા હાઈપ્રોફાઈલ લોકો સામે પોલીસ પણ પગલા લેવા તૈયાર નહતી ત્યારે આખરે જનાક્રોશ સામે પગલા લેવા પડ્યા હતા અને ગુનેગારોને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી જો કે, આ કેસમાં સજા ભોગવી રહેલા ગુનેગારોને હાલ ગત્ 12 ડિસેમ્બર 2018ના દિવસે છોડી મૂકવામાં આવ્યા છે. હૈદરાબાદની ઘટનાએ ગુજરાતની આ દીકરીનો એ કેસ ફરીથી યાદ અપાવી દીધો છે.
31મી ડિસેમ્બર 2003ના દિવસે અમદાવાદમાં બિજલ જોષી બની હતી સામૂહિક દુષ્કર્મનો ભોગ
12 ડિસેમ્બરના દિવસે ચારેય આરોપીઓને છોડી મુકાયા
વૈશાલી જોષીએ છેક સુધી લડી હતી કાનૂની લડાઈ
7 જાન્યુઆરીએ બિજલે આપઘાત કર્યો હતો
આજે હૈદરાબાદમાં ડોક્ટર યુવતીને સામૂહિક દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારનારા ચાર હેવાનોનું આજે એન્કાઉન્ટમાં મોત થવાને પગલે સમગ્ર દેશમાં પ્રસન્નતા વ્યાપી ગઈ હતી ત્યારે આજથી 16 વર્ષ પહેલાના ચકચારી સામૂહિક દુષ્કર્મ બિજલ જોષી કેસની પણ યાદો તાજી થઈ ગઈ હતી. આ કેસ પણ હૈદરાબાદવાળી યુવતીને મળતો આવતો કેસ હતો જેમાં ન્યાય મળતા વર્ષો વિત્યા હતા. જો કે હાલ વડોદરામાં પણ આવો જ કેસ સામે આવ્યો છે જેમાં ગુજરાત પોલીસ ગુનેગારોને શોધવામાં નિષ્ફળ રહી છે.
શું કહે છે બીજલ જોષીની બહેલ વૈશાલી જોષી?
બીજલ જોષીની બહેન વૈશાલી જોષીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. વૈશાલીએ કહ્યુ હતુ કે, હું હૈદરાબાદ પોલીસને હું અભિનંદન આપું છું. ગુજરાત પોલીસે પણ હૈદરાબાદ પોલીસ જેવું કરવાની જરુર છે. અમને ઘણા વર્ષોના સંઘર્ષ બાદ ન્યાય મળ્યો હતો. બિજલ જોષીના આરોપીએ જેલની સજા ભોગવ્યા બાદ બહાર ફરે છે. જ્યારે મારી બહેન પોતાનો જીવ ખોઈ બેઠી. ગુજરાત પોલીસે મહિલા સલામતીમાં ઘણું કરવાનું છે
શું હતી ઘટના
31મી ડિસેમ્બર 2003ની ગોઝારી રાતે અમદાવાદની 24 વર્ષની બિજલ જોષી ઉપર બળાત્કારની દર્દનાક ઘટના ઘટી હતી. આ ઘટનાને પગલે બિજલે આપઘાત કરી લીધો હતો. બિજલ તેના મિત્ર સજલ જૈન સાથે ન્યૂ યર પાર્ટી મનાવવા ગઈ હતી જ્યાં સજલ જૈને તેના મિત્રો સાથે મળીને બિજલ સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને પોલીસ તરફથી પણ ઉદાસીન પ્રતિભાવ મળ્યો હતો પરંતુ બિજલના આપઘાત બાદ કેસની તપાસમાં ઝડપ આવી હતી જો કે, આ કેસમાં ન્યાય મળતા મળતા વર્ષો વીતી ગયા હતા.
બિજલની સુસાઈડ નોટ બની સજાનું કારણ
7 જાન્યુઆરી 2004ના રોજ નારણપુરા સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધો. બીજલે અંતિમ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે,‘મેં તેને(સજલ)ને ખૂબ પ્રેમ કર્યો. પરંતુ તેણે મારા પ્રેમની સામે મારા પર રેપ કર્યો.' પરિણામે સજલ જૈન, ધર્મેન્દ્ર જૈન, ચંદન,મંદન જયસ્વાલ અને ડ્રાઇવર સુગમ સામે સામૂહિક બળાત્કાર અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ કરવામાં આવ્યો હતો. જો કે તેમને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં સજા નહોતી મળી.
14 વર્ષ સુધી સજા બાદ ગુનેગારોને છોડી મૂકાયા
સેશન કોર્ટે આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ એ સજા યથાવત્ રાખી હતી. 12 ડિસેમ્બર 2018ના રોજ સજલ જૈન સહિતના ગુનેગારોને છોડી મૂકવામાં આવ્યા છે. કારણ કે તેમણે 14 વર્ષનો કારાવાસ ભોગવી લીધો હતો.