JDUની ઇફ્તાર પાર્ટીમાં પહોંચેલા તેજસ્વી યાદવને ખુદ CM નીતિશ કુમાર ગાડી સુધી છોડવા જતા રાજકારણ ગરમાયું છે.
CM નીતિશ કુમારે કર્યું હતું ઈફ્તાર પાર્ટીનું આયોજન
તેજસ્વીને ખુદ CM નીતિશ કુમાર ગાડી સુધી છોડવા ગયા
તેજસ્વી યાદવે નિવેદન આપી રાજકીય ચર્ચા પર બ્રેક લગાવી
CM નીતિશ કુમારે તાજેતરમાં જ તેમના નિવાસસ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને પણ આમંત્રણ આપ્યું હતું. જેમાં તેજસ્વી યાદવને ખુદ CM નીતિશ કુમાર ગાડી સુધી છોડવા જતા રાજકારણ ગરમાયું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થયેલા રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal) ના નેતા તેજસ્વી યાદવે જનતા દળ યુનાઈટેડ (Janata Dal United) સાથે રાજકીય સંભાવનાઓના મુદ્દે નિવેદન આપ્યું છે.
ઈફ્તાર પાર્ટીમાં પહોંચેલા તેજસ્વી યાદવના પરત ફરવાના સમયે નીતિશ કુમાર ખુદ તેઓને ગાડી સુધી મૂકવા પહોંચ્યા હતા. આ ઘટના બાદ આરજેડી અને જેડીયુ વચ્ચે રાજકીય સંભાવનાઓને લઈને ચર્ચા શરૂ થઈ હતી. જો કે, તેજસ્વી યાદવે નિવેદન આપી રાજકીય ચર્ચા પર બ્રેક લગાવી દીધી છે. તેજસ્વીએ કહ્યું કે, સીએમ નીતીશ દ્વારા તેઓને કાર સુધી છોડવા આવવું એ ઘણી સામાન્ય બાબત છે. તેઓએ કહ્યું કે, જ્યારે નીતીશ અમારે ત્યાં આવ્યા હતા તો અમે પણ તેમને દરવાજા સુધી છોડી દીધા હતા. દરેક બાબતને રાજકીય દ્રષ્ટિએ જોવી એ યોગ્ય નથી.
શા માટે શરૂ થઈ રાજકીય ચર્ચા?
RJDએ 22 એપ્રિલના રોજ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં નીતિશ કુમારે પણ ભાગ લીધો હતો. પરંતુ આ પાર્ટી બાદ બિહારમાં રાજકારણ ગરમાયું હતું. વાસ્તવમાં, લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ઈફ્તાર પાર્ટી બાદ જાહેરાત કરી હતી કે, તેમની અને મુખ્યમંત્રી વચ્ચે ગુપ્ત ડીલ થઈ છે અને ટૂંક સમયમાં જ બિહારમાં તેજસ્વીની સરકાર બનશે. થોડા દિવસો પહેલાં તેજ પ્રતાપ યાદવે પોતાના સોશિયલ મીડિયા પર 'ENTRY NITISH CHACHA'નો મેસેજ પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે, તેજ પ્રતાપ નીતિશને પરત મહાગઠબંધનમાં લાવવાના પક્ષમાં છે.
લાઉડસ્પીકર વિવાદ પર તેજસ્વીનું નિવેદન
તેજસ્વી યાદવે લાઉડસ્પીકર મામલે નિવેદન આપતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં હાઈકોર્ટનો આદેશ છે, આથી તેનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ બિહારમાં એવી કોઇ જ વાત નથી, જો સરકાર આવો કોઈ નિર્ણય લે છે અથવા કોઈ પ્રસ્તાવ લાવે છે તો તેના પછી તેની પર પ્રતિક્રિયા આપવામાં આવશે. તેઓએ કહ્યું કે, દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. હું રસી લગાવું, ટોપી અથવા પાઘડી પહેરું તેનાથી શું ફર્ક પડે છે. તેઓએ કહ્યું કે, મારા તો લગ્ન પણ અલગ ધર્મમાં થયા છે, ભાજપના લોકો માત્ર ભાગલા પાડવાની રાજનીતિ કરે છે.