મંગળવારનો દિવસ બિહારની રાજનીતિમાં ઐતિહાસિક રહ્યો હતો. વિધાનસભામાં મુખ્યપ્રધાન નીતીશકુમારની ચેમ્બરમાં તેજસ્વી યાદવની 20 મિનિટની રાજકીય મુલાકાતમાં બિહારની રાજકીય લોબીમાં હલચલ મચાવી દીધી છે.
મંગળવારનો દિવસ બિહારની રાજનીતિમાં ઐતિહાસિક રહ્યો
CM નીતીશકુમારની ચેમ્બરમાં તેજસ્વી યાદવની 20 મિનિટની રાજકીય મુલાકાત
બિહારની આગામી વિધાનસભા ચૂંટણીમાં હવે રાજકીય સમીકરણ બદલાઇ શકે છે
બિહારની આગામી વિધાનસભા ચૂંટણીમાં હવે રાજકીય સમીકરણ બદલાઇ શકે છે અને નીતીશકુમાર ફરી વાર તેજસ્વી યાદવની રાજદની છાવણીમાં પરત ફરે તો નવાઇ નહીં.
આ 20 મિનિટની મુલાકાત બાદ બિહારમાં એનઆરસીને લાગુ નહીં કરવા અને 2010ની જોગવાઇ અનુસાર એનપીઆરનો પ્રસ્તાવ ગૃહમાં સર્વાનુમતે પસાર થઇ ગયો હતો. મંગળવારે બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ અને અબ્દુલ બારી સિદ્દિકી મુખ્યપ્રધાન નીતીશકુમારને મળવા પહોંચી ગયા હતા.
મુખ્યપ્રધાનની ચેમ્બરમાં પહેલાંથી જ કોંગ્રેસના નેતા અવધેશસિંહ પણ બેઠા હતા. તેજસ્વી આવતાંની સાથે જ તમામ નેતાઓ મુખ્યપ્રધાનની સાથે પાછળની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા અને ર૦ મિનિટ સુધી ગુફતેગુ થઇ હતી. થોડીવાર બાદ બિહાર વિધાનસભાગૃહમાં અધ્યક્ષ વિજયકુમાર ચૌધરીએ NPR-NRC પ્રસ્તાવ પાસ કર્યાની જાહેરાત કરી દીધી હતી.
પ્રસ્તાવમાં જણાવ્યા અનુસાર બિહારમાં એનઆરસીની આવશ્યકતા નહીં હોવાની નોંધ લખવામાં આવી છે, સાથે જ એનપીઆર 2010ની જોગવાઇ અનુસાર લાગુ કરવા સૂચન કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવ્યું છે.
તેજસ્વી યાદવે 20 મિનિટની વાતચીતમાં એનઆરસી પર પ્રસ્તાવ પાસ કરવા નીતીશકુમારને અનુરોધ કર્યો હતો. નીતીશકુમાર પણ એનઆરસીથી પરેશાન હતા, કારણ કે તેમની સેક્યુલર છબીને કલંક લાગી રહ્યું હતું અને તેથી નીતીશકુમારને ગૃહમાં પ્રસ્તાવ પાસ કરવા માટે કોઇ વાંધો ન હતો અને મુખ્યપ્રધાન તાત્કાલિક એનઆરસી વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવા તૈયાર થઇ ગયા હતા.