બિહારમાં આકાશમાંથી ફરી એકવાર આફત વરસી હતી. મંગળવારે વીજળી પડવાના કારણે 11 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. રાજ્યના 5 જિલ્લામાં વીજળી પડવાના કારણે માનવ નુકસાન થયું છે. રાજધાનીમાં 2, છપરામાં 5, નવાડામાં 2, લખીસરાયમાં 1 અને જમુઇમાં એકનું મોત નીપજ્યું હતું.
બિહારમાં ફરીવાર વીજળી પડવાની ઘટના
11 લોકોના કમકમાટીભર્યા મોત
સરકારે મદદ જાહેર
તો આ ઘટનાને લઇને, મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ દુર્ઘટનામાં તેઓ અસરગ્રસ્તના પરિવારજનોની સાથે છે. નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
થોડા સમય પહેલા 83 લોકોના વીજળી પડવાને કારણે થયાં હતા મોત
આપને જણાવી દઇએ કે, આ પહેલા ગુરુવારે વીજળીના પ્રહાર અને વાવાઝોડાને કારણે બિહારમાં ભારે વિનાશ સર્જાયો હતો. વીજળી પડવાના કારણે બિહારમાં 83 લોકોનાં મોત નીપજ્યાં. જ્યારે ઘણા બધા લોકો દાઝી ગયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના કારણે ઓછામાં ઓછા 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
ગુજરાતમાં વીજળી પડવાની ઘટના
ગુજરાતમાં આજે વીજળી પડતા કુલ 7ના મૃત્યુ થયા છે. જેમાં જામનગર, બોટાદ અને ગાંધીનગરમાં મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં થયા છે. જામનગરના લાલપુરમાં 3ના અવસાન થયા છે. જ્યારે બોટાદમાં 3 અને ગાંધીનગરમાં એકનું મૃત્યુ થયુ થયું છે. આ સિવાય વીજળી પડતા કુલ 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
બોટાદ જિલ્લામાં એક 5 વર્ષની બાળકી અને 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. જામનગર જિલ્લાના લાલપુરના ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત થયા છે. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન સીતાપરા અને તેના પુત્ર વિશાલ સીતાપરાનું મોત નીપજ્યું હતું. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે.
જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ-રાણીંગપરા ગામમાં વીજળી પડી હતી. અજાબ ગામમાં વીજળી પડતા મકાનના સ્લેબમાં તિરાડો પડી છે. તો બીજી તરફ રાણીંગપરા ગામમાં ખેતરમાં કામ કરતા શ્રમિકો પર વીજળી પડી હતી. આ ઘટનામાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 15થી વધુ લોકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સિવિલ હોસ્પિટલમાં એક બેડ પર બે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
ખંભાળિયામાં 3 સ્થળો પર વીજળી પડવાની ઘટના
ખંભાળિયામાં ત્રણ સ્થળો પર વીજળી પડવાની ઘટના બની હતી. જોધપુર ગેઇટ પાસે ખોડિયાર ચોકમાં વીજળી પડી હતી. વીજળી પડતા મંદિરનો કળશ તૂટી ગયો છે. તો વીજળી પડવાના કારણે આસપાસના ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થયું છે. TV, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું છે.
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં મકાન પર વીજળી પડતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. જ્યારે નગર નાકા પાસે શ્યામ પેલેસના બિલ્ડીંગ પર વીજળી પડવાથી બિલ્ડીંગના કેટલાક ભાગને નુકસાન થવા પામ્યું છે. વીજળી પડવાના બનાવના પગલે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. તો અરવલ્લીના મેઘરજમાં વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.