બિહારમાં ભારે રસાકસી બાદ જનાદેશ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળના ગઠબંધનને મળ્યું છે અને હવે નીતીશ કુમાર ફરીથી રાજ્યના મુખ્યમંત્રી પદ પર રહેશે. જોકે બિહારમાં હવે ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે જેણે આખા દેશને ચોંકાવી દીધા.
બિહાર ચૂંટણીમાં ભાજપની બોલબાલા, 74 બેઠકો પર વિજય
મહાગઠબંધનમાં કોંગ્રેસ સૌથી નબળી કડી સાબિત થઇ
બિહારમાં હવે નીતીશ કુમાર કરતા ભાજપનું કદ મોટું
બિહારમાં મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી અને આખરે જે પરિણામ આવ્યું તેમાં RJD સૌથી મોટી પાર્ટી બની. કુલ 243 બેઠકોમાં NDAને 125 બેઠકો મળી છે જેમાં ભારતીય જનતા પાર્ટીને 74 અને જનતા દળને 43 બેઠકો પર જીત હાંસલ થઇ છે. સામે પક્ષે મહાગઠબંધનને 110 બેઠકો મળી જેમાં RJDને 75, કોંગ્રેસને 19 અને લેફ્ટ પાર્ટીઓએ 16 બેઠકો પર જીત હાંસલ કરી. તેજસ્વી આ વખતે ચૂકી ગયા અને સત્તાના સિંહાસન પર ફરીથી નીતીશ કુમાર બેસશે. જોકે આ ચૂંટણીમાં ઘણા બધા નવા સમીકરણ સામે આવ્યા છે જેને જોઇને જનતા અને રાજકીય પંડિતો ચોંકી ઉઠ્યા.
બિહાર ચૂંટણી પરિણામ
JDU+
RJD+
LJP
OTHERS
TOTAL
125
110
1
7
243/243
ચિરાગ પાસવાને નીતીશ કુમારને નુકસાન પહોંચાડ્યું
બિહારમાં ચૂંટણીના પરિણામો પર નજર નાખીએ તો નીતીશ કુમારની પાર્ટીને સૌથી વધારે નુકસાન ચિરાગ પાસવાને પહોચાડ્યું છે, જોકે ચિરાગને પોતે તો એક જ બેઠક નસીબ થઇ છે. ચિરાગ પાસવાનની પાર્ટી આ વખતે એકલી મેદાનમાં હતી જેનું નુકસાન નીતીશ કુમારને થયું.
એનડીએમાં હવે ભાજપ હવે મોટા ભાઈની ભૂમિકામાં
જેડીયુના નીતીશ કુમાર જાહેરમાં કહી ચૂક્યા છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે અને જેડીયુને ગત વિધાનસભા કરતા સીટોમાં જે નુકસાન ગયું છે તેનાથી ભાજપ પણ ચિંતિત છે, પહેલી વાર ભાજપ ઘણા સારા માર્જિનથી જેડીયુ કરતા આગળ છે. ભાજપ સ્પષ્ટ કરી ચુક્યું છે કે ભલે બેઠકો વધારે આવતી પરંતુ મુખ્યમંત્રી તો નીતીશ કુમારને જ બનાવવામાં આવશે. આમ એક સમયે જે નીતીશ કુમાર નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવા ન હતા માંગતા અને તેમને હરાવવા માટે મથતાં હતા, તે જ નીતીશ કુમાર હવે ભાજપની મદદના લીધે જ બિહારના મુખ્યમંત્રી બની શકશે.
પીએમ મોદી અને ભાજપ મજબૂત
ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ચૂંટણી પરિણામો ભાજપની મજબૂતી સૂચવી રહ્યા છે, આમ આર્થિક મંદી, લોકડાઉન, કોરોના, બેરોજગારી, ઘટતું જીડીપી, મોંઘવારી, જેવા પ્રશ્નો છતાં પણ દેશ ની જનતા પ્રાદેશિક પક્ષોને કે કોંગ્રેસને હજુ ય પીં મોદી અને ભાજપ નો વિકલ્પ નથી માનટી તે વધુ એકવાર પુરવાર થયું છે અને ભાજપ હજુ પણ મજબૂત છે તે જોઈ શકાય છે
લેફ્ટ પાર્ટીઓએ સારું પ્રદર્શન કરી બતાવ્યું
દેશમાં વિવિધ રાજ્યોમાં લેફ્ટ પાર્ટીઓ હવે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા લડાઈ લડી રહી છે ત્યારે બિહારમાં તેમણે સારું પ્રદર્શન કરી બતાવ્યું છે. વિવિધ નાની-નાની લેફ્ટ પાર્ટીઓને કુલ 16 બેઠકો હાંસલ થઇ છે જ્યારે ગત ચૂંટણીમાં માત્ર 3 જ બેઠકો મળી હતી.
કોંગ્રેસ હજુ પણ નબળી, આત્મમંથનનો સમય
કોંગ્રેસને 70 બેઠકો આપીને આરજેડીએ પોતાની હાર નિશ્ચિત કરી એવું આ પરિણામો સૂચવી રહ્યા છે, એનડીએમાં જે નબળો સાથી જેડીયુ પુરવાર થયો તે કામ મહાગઠબંધન માટે કોંગ્રેસે કર્યું છે, બે ગાંઠબંધનો વચ્ચે જે કટોકટીની લડાઈ ચાલી રહી છે તેનું કારણ એનડીએમાં ભાજપનું મજબૂત અને જેડીયુનું કમજોર પ્રદર્શન અને મહાગઠબંધનમાં કોંગ્રેસનું કમજોર અને આરજેડીનું દમદાર પ્રદર્શન છે.
એનડીએ ના બે પક્ષો કુરબાન, ભાજપને ફાયદો કે નુકસાન
એનડીએમાં ભાજપનો એક સાથી પક્ષ બિહારમાં નબળો પડ્યો છે સરવાળે જેનું નુકસાન ભાજપને જશે, એક સાથી પક્ષ એલજેપીનું આ પરિણામો બાદ શું થશે તે કહી શકાય તેમ નથી, ભાજપ જરૂરથી પોતે મજબૂત થયું છે પરંતુ તે એટલી બધી સીટો નથી મેળવી શક્યું કે બે મુખ્ય સાથીઓના જનાધારની પૂર્તિ કરી શકે આમ ક્યાંકને ક્યાંક એનડીએનો જનાધાર ઘટ્યો છે, એલજેપીને પડદા પાછળથી જો ભાજપનું ઉત્તેજન હોય તો પોતાના બે સાથી પક્ષોને કુરબાન કરીને જે મેદાન ખુલ્લુ કર્યું છે તેમાં ભાજપ આવી શકશે અથવા કોઈ બીજા પક્ષના હાથ મજબૂત થશે તે આવનારો સમય જ કહેશે.
મુસ્લિમ મતદારો અસમંજસમાં
બિહારમાં AIMIM ની સાથે જ કોંગ્રેસ, RJD,JDU,HAM,VIP,LJP,CPI ગઠબંધન અને RLSP જેવી સેક્યુલર કહેવાતી પાર્ટીઓમાં મુસ્લિમ મતદારોનું મતવિભાજન થયું દેખાઇ રહ્યું છે અને તેની સામે ભાજપનું અન્ય જાતિઓથી ઉપર જઈને હિન્દુત્વનું રાજકારણ જેને વિકાસનું અને સેક્યુલર પક્ષોની સાથે રાખીને વરખ ચડાવેલું સોશિયલ એન્જિનિયરિંગ મજબૂત પુરવાર થયું છે, 30 ટકાથી વધુ મુસ્લિમ બહુલ ક્ષેત્રોમાં ભાજપનું સરસાઈ સાથે બહાર આવવું તે આને પુરવાર કરે છે.
એક બે નહીં પરંતુ ચાર ગઠબંધન
આ વખતે ચૂંટણીમાં ભલે મુખ્યત્વે લડાઈ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે હતી પરંતુ આ બંને ગઠબંધનનો એક સમયે એક્ટિવ હિસ્સો રહેલા અને ચૂંટણી સમયે અલગ પડેલા ઘણા પક્ષોએ ત્રીજો અને ચોથો મોરચો પણ બનાવ્યો હતો, જેમણે સીટો તો નથી મેળવી પરંતુ મતવિભાજન એ હદે કરી નાખ્યું છે કે મુખ્ય બે માંથી એક પણ ગઠબંધન પૂર્ણ રીતે જીતના દાવા કરી શકતું નથી લડાઈ કટોકટની બની રહી છે અને સરકાર કોની બનશે તેનો જવાબ હજુ સુધી સ્પષ્ટ નથી. ટૂંકમાં રસાકસી માટેનું ફેક્ટર સાબિત થયા છે.
બંગાળની ચૂંટણીમાં પણ પડશે પ્રભાવ
સૌના આશ્ચર્ય વચ્ચે બિહાર ડાબેરીઓને બે આંકડામાં સીટોનું આવવું તે રાજકારણની નવી દિશા સૂચવે છે. આ પરિણામ દૂરગામી પ્રભાવો પાડશે, બિહાર એ બંગાળનું પાડોશી રાજ્ય છે, બંગાળ એ રાજ્ય છે જ્યાં આગામી વર્ષે ચૂંટણી છે, ભાજપના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનું ગૃહ રાજ્ય હોવાથી તે ભાજપના કાયમી લક્ષ્યમાં રહે છે. તાજેતર લોકસભા ચૂંટણી અને ત્યાર બાદ મમતા સરકારની સાથે ભાજપની થયેલી હિંસક અથડામણો જેવી ઘટનાને લઈને આગામી ચૂંટણી મમતા અને ભાજપની દ્વિપક્ષીય રહે તેવુ મનાઈ રહ્યું હતું, પરંતુ ડાબેરીઓ આ રાજ્યના સૌથી જૂના ખેલાડીઓ છે, બિહારમાં તેમનું મજબૂત થવું મમતા અને ભાજપ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે, આમ બંગાળની જનતાને વધુ એક વિકલ્પ મળશે.
નોટા
બિહારની ચૂંટણીમાં આશરે સાત લાખ જેટલા મતદાતાઓએ નોટાનું બટન દબાવ્યું. આમ આશરે 1.69 ટકા મતદાતાઓએ નોટાનો ઉપયોગ કર્યો છે. નોટાની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી.
ચૂંટણી પંચ હીરો બન્યું
આ સમયની બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ઘણી ખાસ હતી કેમ કે ભારતમાં કોરોના વાયરસ મહામારી વકર્યા બાદની આ સૌથી પહેલી મોટી ચૂંટણી હતી અને તેની સાથે જ અન્ય રાજ્યોમાં 56 જેટલી સીટો પાર પેટાચૂંટણી પર યોજાઈ હતી માટે જ કોરોના કાળની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સૌ પ્રથમ ચૂંટણી હતી. ચૂંટણી પંચે શરૂઆતથી જ કોરોનાની ગાઈડલાઇનના પાલન માટે જે પ્રયત્નો કર્યા હતા તે કોઈ પણ મહામારીમાં પણ દેશના લોકતંત્રને ધબકતું રાખવા ચૂંટણી યોજી શકાય છે તે પુરવાર થયું છે.