બિહારમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે તે અનુસાર 125 બેઠકો પર NDAનો વિજય થયો છે અને તેમાં પણ ભાજપને 74 બેઠકો મળી ગઈ છે. વાયદા અનુસાર નીતીશ કુમાર જ મુખ્યપ્રધાન બનશે પણ હવે અંદરોઅંદર અહેવાલ આવી રહ્યા છે કે નીતીશ કુમાર માટે કપરાં ચઢાણ છે.
બિહાર ચૂંટણીમાં ભાજપની બોલબાલા, 74 બેઠકો પર વિજય
બિહારમાં હવે નીતીશ કુમાર કરતા ભાજપનું કદ મોટું
ભાજપના નેતાઓએ અંદરોઅંદર કરી રહ્યા છે ગણગણાટ
નીતીશે સત્તા પર રહેવા કરવો પડશે સંઘર્ષ
બિહારમાં મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી અને આખરે જે પરિણામ આવ્યું તેમાં RJD સૌથી મોટી પાર્ટી બની. કુલ 243 બેઠકોમાં NDAને 125 બેઠકો મળી છે જેમાં ભારતીય જનતા પાર્ટીને 74 અને જનતા દળને 43 બેઠકો પર જીત હાંસલ થઇ છે. સામે પક્ષે મહાગઠબંધનને 110 બેઠકો મળી જેમાં RJDને 75, કોંગ્રેસને 19 અને લેફ્ટ પાર્ટીઓએ 16 બેઠકો પર જીત હાંસલ કરી. તેજસ્વી આ વખતે ચૂકી ગયા અને સત્તાના સિંહાસન પર ફરીથી નીતીશ કુમાર બેસશે. જોકે હવે ભાજપના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા છે. પાર્ટીમાં કાર્યકરો કહી રહ્યા છે કે ભાજપનો મુખ્યમંત્રી રાજ્યમાં બનવો જોઈએ.
નીતીશ કુમારને ઘણા નેતાઓ કરી રહ્યા છે ઈશારો, પાર્ટી વિકલ્પ ખુલ્લા રાખશે
મીડિયા અહેવાલો અનુસાર નીતીશ કુમારને વાયદો કરવામાં આવ્યો હતો કે તેમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવશે એવામાં હાલ તો જવાબદારી તેમને જ મળશે પરંતુ પાર્ટી બધા જ વિકલ્પ ખુલ્લા રાખશે અને આગામી છ મહિનામાં ફરીથી વિચાર કરશે. ભાજપ નેતા સંજય પાસવાને કહ્યું કે આ ભાજપ અને નરેન્દ્ર મોદીની જીત છે પરંતુ અમે ખુરશી તો નીતીશ કુમારને જ આપીશું જોકે હવે તેમના પર નિર્ભર છે કે તે નૈતિકતાના આધારે શું કરે છે.
NDAમાં હવે ભાજપ હવે મોટા ભાઈની ભૂમિકામાં
જેડીયુના નીતીશ કુમાર જાહેરમાં કહી ચૂક્યા છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે અને જેડીયુને ગત વિધાનસભા કરતા સીટોમાં જે નુકસાન ગયું છે તેનાથી ભાજપ પણ ચિંતિત છે, પહેલી વાર ભાજપ ઘણા સારા માર્જિનથી જેડીયુ કરતા આગળ છે. ભાજપ સ્પષ્ટ કરી ચુક્યું છે કે ભલે બેઠકો વધારે આવતી પરંતુ મુખ્યમંત્રી તો નીતીશ કુમારને જ બનાવવામાં આવશે. આમ એક સમયે જે નીતીશ કુમાર નરેન્દ્ર મોદીને પીએમ તરીકે જોવા ન હતા માંગતા અને તેમને હરાવવા માટે મથતાં હતા, તે જ નીતીશ કુમાર હવે ભાજપની મદદના લીધે જ બિહારના મુખ્યમંત્રી બની શકશે.
છેલ્લા 15 વર્ષમાં આ નીતીશ કુમારનું સૌથી ખરાબ પ્રદર્શન છે અને તેમની લોકપ્રિયતા હવે ઘટવા લાગી છે જેના કારણે પાર્ટીની પકડ પણ હવે ઘટી ગઈ છે. એવામાં હવે સરકારમાં નિર્ણયો લેવામાં પણ નીતીશ કુમાર ભાજપ સામે નબળા પડે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.