બિહારમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને જે વલણ સામે આવી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીની બલ્લેબલ્લે દેખાઈ રહી છે જ્યારે નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ પછડાઈ રહી છે ત્યારે આખા રાજ્યની જનતામાં સવાલ છે કે જો NDA સરકાર બનાવશે તો નીતીશ કુમારને જ ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી બનાવશે કે પછી કોઈ નવા ચહેરાને તક આપવામાં આવશે.
જો NDA જીતે તો નીતીશ કુમારને ઓછી બેઠક મળવા છતાં CM બનાવશે ભાજપ
બપોરે અઢી વાગ્યા સુધીના પરિણામો અનુસાર ભારતીય જનતા પાર્ટી 75 બેઠકો પર આગળ હતી અને બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. સામે જેમના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી છે તેવા નીતીશ કુમારની પાર્ટી 50થી ઓછી બેઠકો પર લીડ લેતી દેખાઈ રહી છે.
ભાજપ જો જનતા દળથી મોટી પાર્ટી બને છે તો પણ નીતીશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે કે નહીં તે મોટો સવાલ છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે નીતીશ કુમાર જ મુખ્યમંત્રી રહેશે.
ભાજપ ભલે સૌથી મોટી પાર્ટી બને પરંતુ ભાજપ અને જનતા દળે ગઠબંધનમાં પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે નીતીશ કુમારને જ CM બનાવવામાં આવશે અને આ જ કારણ છે કે ભાજપ નેતાઓ નીતીશ કુમારની આગેવાનીમાં સરકાર બનશે તેવું કહી રહ્યા છે.
અરુણ સિંહે કહ્યું કે બિહારમાં NDA સરકાર બનશે અને તેમાં નીતીશ મુખ્યમંત્રી બનશે. ગામ હોય કે ખેડૂત હોય બધા જ નરેન્દ્ર મોદીને નેતા માને છે, મહિલાઓ અને ખેડૂતોના ખાતામાં પૈસા ગયા છે, 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આ સિવાયનાં પણ બિહારના પ્રાદેશિક તથા રાષ્ટ્રીય નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે નીતીશ કુમાર જ સીએમ રહેશે, ભલે પછી ભારતીય જનતા પાર્ટી વધારે બેઠકો લઈને આવે. બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષે પણ કહ્યું કે જે વાત પહેલા જ નક્કી થઇ ગઈ છે, જે વાત પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષે પણ કહી છે તેના પર કોઈ જ સંશય નથી.