કોરોનાના કહેર વચ્ચે બિહારમાં ચૂંટણી જંગ જામ્યો છે. મુખ્યપ્રધાન નીતીશકુમારના વડપણ હેઠળ એનડીએ સહિત તમામ પક્ષો વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
મુખ્ય મુકાબલો નીતીશકુમાર અને મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવ વચ્ચે છે. અત્યાર સુધીનાં તમામ ચૂંટણી સર્વેક્ષણ અને ઓપિનિયન પોલમાં નીતીશના વડપણ હેઠળ NDA સરકાર રચાશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. બિહારમાં ચાલી રહેલા ચૂંટણી ઘમસાણને લઇ તાજેતરમાં હાથ ધરવામાં આવેલ CSDS-લોકનીતિનો સર્વે જણાવે છે કે મુખ્યપ્રધાન નીતીશકુમાર ચૂંટણી જંગમાં મેદાન મારી જશે, પરંતુ તેમની લોકપ્રિયતા અગાઉની તુલનાએ ઓસરી રહી છે અને તેની સામે મહાગઠબંધનના નેતા તેજસ્વી યાદવની લોકપ્રિયતા વધી રહી છે.
બિહારમાં સત્તાવિરોધી એન્ટઇન્કમબન્સી ફેક્ટર કામ કરી રહ્યું છે
સર્વે અનુસાર ભાજપનો સ્ટ્રાઇક રેટ જનતાદળ(U)થી વધુ સારો રહેશે. આ ઉપરાંત ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ (GDSF) દ્વારા NDAને મદદ મળી રહી છે. આ ગઠબંધનના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહા છે. ગઠબંધનમાં RLSP, માયાવતીની BSP, અસદુદ્દીન ઓવૈસીની AIMIM સહિત અન્ય પાર્ટીઓ સામેલ છે. સર્વે દ્વારા NDAની સરકાર આવવાના સંકેતો ભલે મળી રહ્યા હોય, પરંતુ એક હકીકત એ પણ છે કે બિહારમાં સત્તાવિરોધી એન્ટઇન્કમબન્સી ફેક્ટર ચોક્કસપણે કામ કરી રહ્યું છે અને તે ચૂંટણીનાં પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
ર૦ર૦ના સર્વેક્ષણમાં માત્ર ૩૮ ટકા લોકો જ ઇચ્છે છે કે નીતીશ ફરી મુખ્યપ્રધાન બને
ર૦૧પની વિધાનસભા ચૂંટણીમાં ૮૦ ટકા લોકોએ નીતીશના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે ર૦ર૦ના સર્વેક્ષણમાં માત્ર ૩૮ ટકા લોકો જ ઇચ્છે છે કે નીતીશ ફરી મુખ્યપ્રધાન બને અને ૪૩ ટકા લોકો ઇચ્છતા નથી કે તેઓ ફરી સત્તારૂઢ થાય.
NDAને ર૪૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૩૩થી ૧૪૩ બેઠક મળી શકે
CSDS-લોકનીતિના સર્વે અનુસાર બિહારમાં નીતીશકુમારના વડપણ હેઠળ NDAને ર૪૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૩૩થી ૧૪૩ બેઠક મળી શકે છે. ૩૧ ટકા મતદારોએ નીતીશકુમારને પસંદ કર્યા છે અને ર૭ ટકા મતદારોએ તેજસ્વી પર પસંદગી ઉતારી છે. આમ, તેજસ્વીની લોકપ્રિયતા પણ વધી રહી છે. ઓપિનિયન પોલ અનુસાર તેજસ્વીના મહાગઠબંધનને ૮૮થી ૯૮ બેઠક મળી શકે છે, જ્યારે ચિરાગની લોકજનશક્તિ પાર્ટી (એલજેપી)ને રથી ૬ બેઠક મળી શકે છે. બિહારમાં બહુમતીનો આંકડો ૧રર બેઠકો છે.
CSDS-લોકનીતિ ઓપિનિયન પોલમાં ૩૭ વિધાનસભા બેઠકોનાં ૧૪૮ ચૂંટણી મથકોને આવરી લેવામાં આવ્યાં હતાં, જે પૈકી ૩,૭૩૧ લોકો સાથે વાતચીત કરીને ૧૦થી ૧૭ ઓક્ટોબર દરમિયાન આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાં ૬૦ ટકા પુરુષ અને ૪૦ ટકા મહિલા મતદારો સાથે વાતચીત કરવામાં આવી હતી.
લોકનીતિ-CSDS સર્વેમાં નીતીશકુમારના નેતૃત્વવાળા NDAને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. NDAને ૧૩૩-૧૪૩ સીટ મળવાનું અનુમાન છે તો મહાગઠબંધનને ૮૮-૯૮ સીટ, LGPને ૨-૬ સીટ અને અન્યને ૬થી ૧૦ સીટ મળવાનું અનુમાન છે. તેનાથી તે સમજી શકાય કે બિહારમાં આ વખતે પણ NDAની સરકાર આવી શકે છે અને હાલની ઘોષણા પ્રમાણે બધું યોગ્ય રહ્યું તો નીતીશકુમાર ફરી મુખ્યપ્રધાન બનશે.
RJD નેતા તેજસ્વી ૨૭ ટકા લોકોની પસંદ
આ પોલમાં ૩૭ વિધાનસભા સીટનાં ૧૪૮ બૂથને કવર કરવામાં આવ્યાં હતાં, જેમાં ૩૭૩૧ લોકો સાથે વાત કરવામાં આવી. ઓપિનિયન પોલમાં નીતીશકુમાર મુખ્યપ્રધાન તરીકેની પ્રથમ પસંદ બનેલા છે, પરંતુ RJD નેતા તેજસ્વી યાદવ પણ તેમનાથી દૂર નથી. લોકનીતિ-CSDSના સર્વેમાં મુખ્યપ્રધાનના રૂપમાં લોકોની પ્રથમ પસંદ નીતીશકુમાર છે. ૩૧ ટકાની પસંદ સાથે તેઓ પ્રથમ સ્થાને તો RJD નેતા તેજસ્વી ૨૭ ટકા લોકોની પસંદ સાથે બીજા સ્થાને, LJP પ્રમુખ ચિરાગ પાંચ ટકાની સાથે ત્રીજા અને ભાજપના નેતા સુશીલ મોદી ચાર ટકા લોકોની પસંદ સાથે ચોથા સ્થાને છે.
આમ, સર્વે અનુસાર ભાજપના સ્ટ્રાઇક રેટના કારણે નીતીશકુમારનો વિજય થશે, પરંતુ ચિંતાજનક વાત એ છે કે નીતીશકુમારની લોકપ્રિયતાનો આંક ગગડ્યો હોવાથી સરકાર લાંબો સમય ટકશે કે કેમ તે અંગે શંકા છે.