બિહારમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને તંત્ર પણ તેને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. કોરોનાના આ સંકટમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ પણ ખૂલી ચૂકી છે. બિહારની બદતર સ્થિતિની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આ સમયે પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ (NMCH) ના ગેટ પર એક કોરોના દર્દીએ અંતિમ શ્વાસ લીધા.પરિવારના લોકોનો આરોપ છે કે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવા માટે 3 કલાક પહેલાંથી તેઓ નામ લખાવવા આંટા મારી રહ્યા હતા.
પટનાની NMCHની બહાર કોરોના દર્દીનું મોત
3 કલાકથી નામ લખાવવા આંટા મારતા રહ્યા પરિવારજનો
હોસ્પિટલના ગેટ પર કોરોના દર્દીએ લીધા અંતિમ શ્વાસ
મળતી માહિતી અનુસાર દર્દીની સાથે આવેલા એક પરિવારની વ્યક્તિએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી બિહાર શરીફમાં તેમની સારવાર ચાલી રહી હતી. થોડા દિવસથી તબિયત વધારે બગડી હતી. મંગળવારે તેમને સવારે પટના લાવવામાં આવ્યા અને અહીં પહોંચ્યા બાદ અનેક હોસ્પિટલોએ એડમિટ કરવાની ના પાડી. આ પછી તેઓ NMCH લઈ ગયા. અહીં નામની ચિઠ્ઠી તૈયાર કરવામાં 3 કલાકથી વધુ સમય લાગતાં દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આવો જ એક અન્ય બનાવ NMCHમાં જોવા મળ્યો હતો. અહીં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું હતું. જ્યારે તેમનો મૃતદેહ હટાવવા કોઈ ન આવ્યું તો પરિવારના સભ્યએ પોતે મૃતદેહને રીક્ષામાં મૂક્યો અને તેના અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો.