બિહારમાં રહસ્યમય ‘ચમકી તાવ’ એટલે કે ‘એક્યૂટ ઈન્સેફ્લાઈિટસ સિન્ડ્રોમ’ (એઈએસ)ના કારણે છેલ્લા ૧૯ દિવસથી દર ત્રણ કલાકે એક બાળકનું મોત થઈ રહ્યું છે. ખાસ કરીને મુઝફ્ફરપુરમાં મગજના તાવના કારણે બાળકોનાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને તેના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે.
લોકોનો આક્રોશ અને સિસ્ટમ સામેની નારાજગી સ્વાભાવિક અને સમજી શકાય તેવી છે. બિહાર સરકારની અનેક નિષ્ફળતાઓ અને બેદરકારી છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવી છે. બાળકોનાં મા-બાપ ડોક્ટરો-તંત્રને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યાં છે કે અમારાં બાળકોને કંઈ પણ કરીને બચાવી લો પણ સરકારની જડતા અને સંવેદનહીનતાના કારણે બહેરી બની ગયેલી સિસ્ટમ મજબૂર છે અને ગરીબો તેમના દિલના ટુકડા ગુમાવી રહ્યા છે.
બિહારમાં ચમકી તાવનું તાંડવ શરૂ થયું ત્યારથી જ હોસ્પિટલોમાં બેડની અછત-યોગ્ય તાલીમવાળા સ્ટાફ અને પૂરતા ફંડની ઊણપ પણ દુનિયાની સામે આવી ગઈ છે. બિહારનું આરોગ્યતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને વિકાસના મોટા દાવા કરનારી રાજ્ય સરકાર સંચાલનમાં કેટલી પછાત છે તે હવે કોઈને કહેવાની જરૂર રહી નથી.
આપણે ભલે તોફાન સામે લડતાં શીખી ગયા હોઈએ, ચક્રવાત આવે ત્યારે લોકોના જીવ બચાવી લેવાના દાવા કરતા હોઈએ પણ બાળકોની જિંદગી બચાવી લેવાનું મેનેજમેન્ટ હજુ શીખવાનું બાકી જ છે. બિહારની આરોગ્ય વ્યવસ્થા અનેક સ્તર પર નિષ્ફળ સાબિત થઈ છે. અગાઉ પણ ૧૯૯૧ અને ર૦૧૪માં ચમકી તાવના કારણે મુઝફ્ફરપુરમાં અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા હતા. યુપીના ગોરખપુર અને પશ્ચિમ બંગાળના માલદામાં પણ આવા જ કેસ સામે આવ્યા છે.
સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે દર વર્ષે જાપાની તાવ-મગજનો તાવ ફેલાય છે તો તેનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં કેમ નથી આવતું? ‘ચમકી’ નામ તો સ્થાનિક લોકોએ આપ્યું છે. તબીબીજગત આ બીમારીને ‘એક્યૂટ ઈન્સેફ્લાઈિટસ સિન્ડ્રોમ’ (એઈએસ)ના નામે ઓળખે છે. આ રોગ આજકાલનો નથી પણ છેલ્લા બે દાયકાથી અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે.
બિહાર સરકારનો આરોગ્ય વિભાગ આ મહામારીનો દોષ લીચી ઉપર રેડીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે. નીતીશકુમારના પ્રધાનો મિટિંગમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચનો સ્કોર પૂછી રહ્યા છે પણ તેમને રાજ્યમાં માસૂમ બાળકોનાં મોતનો આંકડો દેખાતો નથી કે પછી સ્પર્શતો નથી.
બિહારના પૂર્વ ચંપારણ, સીતામઢી, મુઝફ્ફરપુર, શિવહર, બેતિયા, મોતિહારી, વૈશાલી, છપરા, સમિસ્તપુર વિસ્તારમાં ચમકી તાવે માસૂમ બાળકોને ભરખી લીધાં છે પણ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાં સૌથી મોટી સંખ્યા બાળકીઓની છે.
બિહાર સરકાર સારી રીતે જાણે છે કે ચમકી તાવનો શિકાર મોટા ભાગે ગરીબ પરિવારોનાં કુપોષિત એવાં એકથી ૧પ વર્ષની ઉંંમર સુધીનાં બાળકો બને છે. આમ છતાં પણ રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. બિહારમાં ડોક્ટરોનો બહુ મોટો અભાવ પણ આ મોત માટે જવાબદાર છે.
સામાન્ય રીતે આદર્શ સ્થિતિમાં દર એક હજાર વ્યક્તિએ એક ડોક્ટર હોવા જોઈએ પણ બિહાર જેવા અનેક બીમારીઓ સામે લડતા અને વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં દરેક ડોક્ટર પર ૩,ર૦૭ લોકોની સેવા કરવાનો બોજ નાખી દેવામાં આવ્યો છે.
બિહારના લોકોએ વિકાસ-સુખાકારી માટે ભાજપ અને જેડી(યુ) પર જે ભરોસો મૂક્યો હતો તે બિલકુલ સાર્થક થયો નથી. લોકોમાં આ કારણે જ આટલો રોષ ફેલાયેલો છે અને તે યોગ્ય પણ છે. જરૂરી પાયાની સુવિધાઓથી પણ જો વંચિત રહેવાનું હોય તો આ કેવો વિકાસ છે?
સરકારી આંકડા અનુસાર દેશમાં એક તૃતીયાંશ એટલે કે ૪.૬૬ કરોડ બાળકો કુપોષિત છે. બિહારમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધારે છે, જ્યારે ઉત્તરપ્રદેશ આ મામલે બીજા નંબરે છે. સ્પષ્ટ વાત છે કે જો સરકારી વ્યવસ્થાઓ અને યોજનાઓ મજબૂત બની હોત કે તેનો યોગ્ય અમલ થયો હોત તો કદાચ આ બાળકોનો જીવ બચી ગયો હોત પણ અફસોસ આવું થયું નથી.
ગરીબ લોકો માટે સરકાર કે સિસ્ટમ કોઈ કામનાં નથી તે પણ બિહારે સાબિત કરી દીધું છે. નીતીશકુમારની સરકારના કાર્યકાળમાં ખાડે ગયેલી આરોગ્ય સેવાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. નેતાઓ કદાચ ભૂલી જાય છે કે લોકોના મતના કારણે જ આજે તેઓ સત્તાના સિંહાસને બિરાજેલા છે અને ગરીબોની નારાજગી તેમના સિંહાસનના પાયા હચમચાવી દે તે દિવસ બહુ દૂર નથી.•