બિહાર ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલ પોતાના એક નિવેદનને લઇને વિવાદમાં ઘેરાયા છે. ભાજપ ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા સંજય જયસ્વાલે વેપારીઓને પોતાના કર્મચારીઓને પાંચસો-પાંચસો રૂપિયા આપવાની વાત કહી, જે બાદ તેમના પર ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જે બાદ તંત્રે મામલાની તપાસ કરી રહી છે.
બિહાર ભાજપા પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ ઉપ ચૂંટણીમાં કિશનગંજ બેઠકથી ભાજપ ઉમેદવાર સ્વીટી સિંહના સમર્થનમાં એક સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વીટી સિંહના સમર્થનમાં વોટ માંગતા સંજય જયસ્વાલે કહ્યું કે કિશનગંજના વેપારીઓને કહ્યું કે, તમામ વેપારીઓ મતદાનના દિવસે પોતાના સ્ટાફને 500-500 રૂપિયા આપે. જેથી તે સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી મતદાન કેન્દ્રમાં હાજર રહે અને પોતાના ઉમેદવારના પક્ષમાં વોટ નાંખે.
સાથે જ જયસ્વાલે કહ્યું કે, જો આપે અન્ય જગ્યાઓના લોકોના નામ વોટર લિસ્ટમાં ચઢાવ્યા છે તો તેમનો પણ વોટ વધુમાં વધુ નાંખવામાં આવે જેથી ભાજપની વોટ ટકાવારી વધી શકે.
આ ઘટના બાદ કિશનગંજ એસડીએમના નિર્દેશ પર સીઓએ લેખિતમાં ભાજપ નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સંજય જયસ્વાલની સાથે ભાજપના ઉમેદવાર સ્વીટી સિંહ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઇ છે. જે બાદ પોલીસ મામલાની તપાસ હાથ ધરી છે.