દિવાળીના ઉજવણી વચ્ચે બિહારમાં 25 લોકોના શંકાસ્પદ મોતનાં દુ:ખદ સમાચાર સામે આવ્યા છે, પ્રાથમિક તારણ છે કે તમામ મોત દારૂના કારણે થયા છે.
બિહારમાં બે જ દિવસમાં 25 શંકાસ્પદ
ગોપાલગંજમાં ગામડાઓમાં સોપો પડ્યો
મુખ્યમંત્રીએ આપેલ નિવેદનથી ખળભળાટ
બિહારના ગોપાલગંજ અને બેતિયામાં બે જ દિવસમાં 25 લોકોના મોત માતમ પ્રસરી ગયો છે, બુધવાર અને ગુરુવારે એક બાદ એક મોતથી લોકોના ઘરમાં તહેવારની ઉજવણીની જગ્યાએ રોકકળ મચી ગઈ છે. દિવાળીના દિવસે જ લોકોના ઘરના ચિરાગ ઓલવાઈ જવાથી ગામેગામ જાણે માતમ છવાઈ ગયો છે. એવામાં મુખ્યમંત્રીએ પણ વિવાદિત નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રીનું સંવેદનહિન નિવેદન
બિહારમાં થોડા વર્ષ પહેલા જ દારૂબંધી લાગુ કરવામાં આવી છે, બે જ દિવસમાં 25 મોતની પાછળ મુખ્ય કારણ ઝેરીલી દારૂની હોવાનું જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સરકાર દારૂબંધીને લાગુ કરાવવામાં નિષ્ફળ જઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી લોકોની મોત પર સુફિયાણી સલાહો આપી રહ્યા છે. તંત્ર દ્વારા હજુ મોતના કારણની પુષ્ટિ થઈ નથી પણ મુખ્યમંત્રીએ કહ્યું છે કે ગડબડ ચીજ પીજીયેગા તો યહી સબ ન હોગા, એટલે કે ગડબડ વસ્તુઓ પીશો તો આવા જ હાલ થશે ને! તેમણે આગળ કહ્યું કે જ્યાં દારૂ ચાલી રહી છે ત્યાં આ બધી ગડબડો થાય જ છે, કોઈ તમને પીવડાઈ દેશે અને જતાં રહેશો.
ટપોટપ મરી રહ્યા છે લોકો
બિહારના ગોપાલગંજમાં જ બુધવારે દસ લોકોના મોત થયા હતા જે આજે એટલે કે ગુરુવારે વધીને 17 સુધી આંકડો પહોંચી ગયો છે. મૃત્યુ પામનારા જુદા જુદા ગામના હોવાનું સામે આવ્યું છે. બુધવારે એક બાદ એક આ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા અને ફરિયાદ હતી કે તેમની આંખોની રોશની જતી રહી છે.
દારૂ પીધા બાદ અચાનક બગડી તબિયત
ગોપાલગંજની સાથે સાથે બેતિયામાં પણ બુધવારે આઠ લોકોની મોત થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે તે બધાએ બુધવારે જ દારૂ પીધી અને તે બાદ ટપોટપ લોકોના મોત થઈ ગયા. કેટલાક લોકોના મોત ઘરે જ થઈ ગયા જ્યારે કેટલાકે હોસ્પિટલમાં જઈને દમ તોડ્યો હતો. હજુ પણ એક ડઝન જેટલા લોકો સરકારી હોસ્પિટલમાં દાખલ છે.