ગુજરાતમાં વ્યાજખોરો પર અંકુશ ક્યારે લાગશે? આખરે કેમ વ્યાજખોરોને કાયદાનો ભય નથી? કારણ કે આ વખતે ગુજરાતમાં વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં નોંધાયો વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ
કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કીડની-લિવર વેચવાની ધમકી આપતા
કંટાળી ફરિયાદીએ ઉંઘની 50 ગોળી ખાઈને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ગુજરાતમાં વ્યાજખોરીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. વ્યાજખોરો વિરુદ્ધની મુહિમ અંતર્ગત અમદાવાદ પોલીસને વ્યાજખોરીનો સૌથી મોટો કેસ હાથ લાગ્યો છે. અમદાવાદના ફરિયાદી રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કીડની-લિવર વેચવાની ધમકી આપતા
આ ઘટનામાં વ્યાજખોરોએ કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસેથી કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. લાખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર ધમકી આપતા. કીડની અને લીવર વેચી વ્યાજના રૂપિયા ચૂકવવા વ્યાજખોરો ધમકી આપતા. આથી, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઉંઘની 50 ગોળી ખાઈને ફરિયાદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આથી, આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરિયાદીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં વ્યાજખોરોએ હોસ્પિટલમાં જઇને પણ ફરિયાદીને ધમકી આપી હતી. તદુપરાંત ચેક રિટર્ન કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. આથી, આનંદનગર પોલીસે 8 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાત પોલીસ જેવી પોલીસ મે વિશ્વમાં ક્યાંય નથી જોઇ: રાકેશ શાહ
'હું રાકેશ શાહ, મે પૈસા આપવાનો બહુ ટ્રાય કર્યો પણ એ લોકોએ મને બહુ હેરાન કર્યો. હું બધાં જ પૈસા ચૂકવી દઇશ. કોઇને ના નથી પાડતો. પણ લોકો મને બહુ હેરાન કરે છે. તારી લિવર વેચી નાખ, તારું કિડની વેચી નાખ, તારી કિડની કાઢી નાખીશ. તારું લિવર કાઢી નાખીશ. મને ગુજરાત પોલીસે બચાવ્યો છે. હું ગુજરાત પોલીસનો ખૂબ-ખૂબ આભાર માનું છું. આવી પોલીસ મે વિશ્વમાં ક્યાંય નથી જોઇ. નામ સાંભળેલું હતું પણ ગુજરાત પોલીસ જેવી પોલીસ નહીં અને એ લોકોએ મારો જીવ બચાવ્યો. એટલું જ નહીં પણ રાકેશભાઇ તમે હિંમત રાખો અમે બધાં તમારી સાથે છીએ.'
જુઓ ક્યા વ્યાજખોરે કેટલા રૂપિયા પડાવ્યા?
સંગમ પટેલે 13 કરોડની સામે 24 કરોડ માંગ્યાની ફરિયાદ
અર્પિત શાહે 18 લાખ સામે 12 કરોડ રૂપિયા માંગ્યાની ફરિયાદ
અસ્પાલ અને દીગપાલ શાહે 7.98 કરોડ સામે 20 કરોડ માંગ્યાની ફરિયાદ
અશોક ઠક્કરે 4.05 કરોડ સામે રૂપિયા 50 કરોડ માંગ્યાની ફરિયાદ
ચેતન શાહે 8.8 કરોડ સામે 30 કરોડ માંગ્યાની ફરિયાદ
પંકજ પારેખે 4.74 કરોડ સામે 42 કરોડ માંગ્યાની ફરિયાદ
લક્ષ્મણ વેકરિયાએ 75 લાખ સામે 5 કરોડ માંગ્યાની ફરિયાદ
વડોદરામાં વધુ એક વ્યાજખોરને પાસામાં ધકેલાયો
વડોદરામાં પણ વધુ એક વ્યાજખોરને પાસામાં ધકેલાયો છે. વ્યાજખોર હિતેશ સથવારા સામે પાસા હેઠળ ગુનો નોંધાયો છે. હિતેશ સથવારાને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલાયો છે. તમને જણાવી દઇએ કે, વ્યાજખોર હિતેશ સથવારા સામે અનેક ફરિયાદો દાખલ છે. વ્યાજખોરોની ફરિયાદો અને પુરાવા મળતા પોલીસ આક્રમક થઇ છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન અને ગોત્રી વિસ્તારમાં અનેક લોકો ભોગ બન્યા છે.
ગઇકાલ સુધીમાં 316 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં ગઇકાલ સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી હતી. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ કરાયા હતા. જે પૈકી 316 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી ચૂકી છે. 5 જાન્યુઆરીથી ગઇકાલ સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજાયા હતા. જેમાં 464 પોલીસ ફરિયાદો નોંધવામાં આવી હતી. જે ફરિયાદો અંતર્ગત 762 આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી 316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાંથી 4 આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી
તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણાં પડાવ્યા હોય તે નાણાં પણ પરત અપાવવાનો અભિગમ છે.