સુરત ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતમાં 2014ના તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ તેમજ ત્રણ તલાટીએ સાથે મળી મેળા પીપણામાં 268 જેટલી જુદી જુદી મિલકતોને લઈ કૌભાંડ આચર્યું
સુરતમાં પંચાયત વિભાગનું સૌથી મોટું ગુનાહિત કૃત્ય
સરપંચો-તલાટીઓએ સાથે મળી આચર્યું ગુનાહિત કૃત્ય
ઓલપાડની સાયણ ગ્રામપંચાયતના સભ્યો સામે ફરિયાદ
સુરત ઓલપાડની સાયણ ગ્રામ પંચાયતમાં રાજ્યનો સૌથી મોટો ગેરવહીવટ સામે આવ્યો છે. 2014થી ચાલી રહેલા ગેર વહીવટ મામલે ગામના જાગૃત નાગરિકે હાઈકોર્ટ સુધી ફરિયાદ પણ કરી હતી. જોકે મોડે મોડે જાગેલી પોલીસે સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરી હતી અને 2014ના તત્કાલીન સરપંચ, વર્તમાન સરપંચ તેમજ ત્રણ તલાટી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટના પર નજર કરીએ તો, 2014ના વર્ષના સરપંચ અશ્વિન ઠક્કર તેમજ તત્કાલીન તલાટીએ વર્ષ 2014થી લઇ વર્ષ 2019 સુધીમાં મિલકતોની હક કે પુરાવા ન હોય એવા વ્યક્તિઓના નામે સામાન્ય સભામાં 10 જેટલા ઠરાવો કરી કર્યા હતા. સરપંચો અને તલાટીઓના મેળા પીપણામાં 268 જેટલી જુદી જુદી મિલકતો, ગેરકાયદે રીતે બનેલા 28 જેટલા રો-હાઉસોની આકારણી તેમજ 10થી વધુ મિલકતો ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામે નામફેર કરવામાં આવી હતી. સમગ્ર બાબતને લઇ સાયનના જાગૃત નાગરિક દિલીપ ચાવડાએ આર.ટી.આઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી અને ત્યારબાદ સરપંચ તેમજ તલાટીઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની ઊંડાણ પૂર્વકની તપાસ બાદ હાઈકોર્ટ દ્વારા આદેશ કરવમાં આવતા ઓલપાડ પોલીસ દ્વારા 2014ના તત્કાલીન સરપંચ અને હાલના ડે.સરપંચ અશ્વિન ઠક્કર ,વર્તમાન સરપંચ અનીલ પટેલ ,તત્કાલીન તલાટીઓ દિલીપ પટેલ તેમજ દિનેશ પટેલ તેમજ વર્તમાન તલાટી વિજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, હાલના તલાટી વિજય પટેલ સુરત જીલ્લા તલાટી એસોસિયેશનના મહામંત્રી પણ છે.