આવતી કાલથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે લોકો પણ બાપ્પાના વધામણાં કરવા આતુર છે. જ્યારે ગુજરાતની સૌથી મોટી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ભુજમાં સ્થાપિત કરવામાં આવે છે. જેની તડામાર તૈયારીઓ ચાલુ છે.
સતત 19માં વર્ષે ભુજમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ વાત તો એ છે કે, ગુજરાતની સૌથી મોટી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવનાર છે. ધીમી ધીમે પીઓપીની મૂર્તિ કરતા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને માટીના ગણેશની માંગ વધી છે. ભક્તો પણ ઇકોફ્રેન્ડલી મૂર્તિ લાવી પર્યાવરણની રક્ષા કરવા ઈચ્છે છે.
ભુજમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 19 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં છેલ્લા 8 વર્ષથી દુંદાળા દેવની માટીની વિશાળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પંડાલમાં સ્થાપિત કરવામાં આવશે. આ વખતે મયુર પર બિરાજીત ગણેશજીની 21 ફૂટ ઊંચી 30 ફૂટ લાંબી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સાથે મહોત્સવ સાતની જગ્યાએ નવ દિવસ સુધી ઉજવાશે અને દરરોજ મહાઆરતી સાથે ગરબા, નાટક, વક્તવ્ય સહિતના કાર્યક્રમો અને ગીતા રબારીનો લોકડાયરો યોજાશે.
ગણેશજીના પંડાલમાં 10 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા અને વોટરપ્રૂફ સ્ટ્રક્ચર બનાવાયું છે. આ વખતે હજારો ભાવિકોને મહાપ્રસાદનો લાભ આપવામાં આવશે. માટીની વિશાળ મૂર્તિ બનાવવા માટે છેલ્લા ચાર પાંચ માસથી બંગાળી કારીગરો જહેમત ઉઠાવી રહ્યા હતા.