રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનના ખાસકીવથી પિસાચિન સુધી ત્રિરંગા સાથે અગ્રેસર થઈને યુક્રેનથી 700 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં ગુજરાતના હિંમતનગરનાં ભવેન્દ્રસિંહનું સૌથી મોટું યોગદાન રહ્યું છે.
જો કે, ભવેન્દ્ર સિંહ ખુદ પોતે પર સુરક્ષિત રીતે પોતાના ઘરે હેમખેમ પહોંચી ગયા હતાં. ત્યારે યુક્રેનથી તેને જોઈને તેના સ્વજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને તેની આરતી ઉતાર્યા બાદ તેને કુમકુમનું તિલક કર્યું હતું અને મીઠાઈ પણ ખવડાવી હતી.
ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે પોતાનું બુકિંગ પણ કેન્સલ કરાવી દીધેલું
ભવેન્દ્રનાં કહેવા મુજબ, રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાં અટવાઈ ગયા હતાં. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, વિજયનગર, પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્માના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા હતા. જેમાંથી કુલ 18માંથી 17 વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા હેઠળ પરત ફર્યા છે. ખેડબ્રહ્માનો એક વિદ્યાર્થી આવતી કાલે પરત ફરશે. હિંમતનગરના મહેતાપુર વિસ્તારમાં રહેતા ભવેન્દ્રસિંહ ખરા અર્થમાં સિંહ બની ગયા હતા અને પોતાના મિત્રો તેમજ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવાનું પોતાના પિતાને કહીને પોતે પોતાનું બુકિંગ પણ કેન્સલ કરાવી દીધું હતું. તેના કહેવા મુજબ યુક્રેનમાં તેની પાસે ત્રણ સલામત જગ્યાઓ હતી.
વકજલ રેલ્વે સ્ટેશનથી તેઓ તિરંગો અને કુળદેવીની તસવીર લઈને મિત્રો સાથે ચાલવાનું શરૂ કરી દીધું
પીસોચિન કે જે ખાસકીવથી અંદાજે 20 કિમી દૂર હતું. વકજલ રેલ્વે સ્ટેશનથી તેઓ ભારતીય તિરંગો અને કુળદેવી માતાની તસવીર લઈને મિત્રો સાથે ચાલવાનું શરૂ કરી દીધું હતું. તિરંગો જોઈને અન્ય વધુ કેટલાંક ભારતીયો તેની સાથે જોડાઇ ગયા હતાં. ટૂંક સમયમાં જ તેની સંખ્યા વધીને 700થી વધુ થઈ ગઈ. તેઓ પોતે તિરંગો લઈને આગળ ચાલી રહ્યાં હતાં.
ભવેન્દ્રએ સૌ પહેલાં જુનિયર વિદ્યાર્થીઓને વિમાન દ્વારા ભારત મોકલી દીધા
ભવેન્દ્રના જણાવ્યાં અનુસાર, રસ્તામાં લગભગ 300 મીટર દૂર મિસાઈલ હુમલો કરાયો હતો. આ જોઈને અમે બધા જ જમીન પર બેસી ગયા. થોડી વાર રાહ જોયા બાદ ફરી તમામ લોકો રોમાનિયા બોર્ડર તરફ રવાના થઇ ગયાં. ત્યાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર તેઓ બસ મારફતે પ્લેન સુધી પહોંચ્યા હતાં. ભવેન્દ્ર જણાવે છે કે, તેને સૌથી પહેલાં જુનિયર વિદ્યાર્થીઓને વિમાન દ્વારા ભારત મોકલી દીધા હતાં. ત્યાર બાદ બીજી ફ્લાઈટમાં બચી ગયેલા તમામ લોકો બીજા દિવસે ભારત પહોંચ્યાં. આ ખરેખર તિરંગાની શાન છે કે જેના કારણે તમામ લોકો સુરક્ષિત રીતે પોતપોતાના ઘરે પહોંચી ગયા.