બિગ બોસ 6ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી અને બોલિવૂડ અભિનેત્રી સના ખાને ગુરુવારે પોતાના એક્ટિંગ કરિયરને અલવિદા કહેવાની જાહેરાત કરી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે બોલિવૂડ છોડવાની જાહેરાત કરી છે. એટલે કે, હવે સના ખાન પણ ઝાયરા વસીમના રસ્તે ચાલી રહી છે. પોતાના મેસેજમાં અભિનેત્રીએ આવું કરવાનું કારણ જણાવ્યું છે. આ પોસ્ટ શેર કરતી વખતે સના ખાને પોતાના નિર્ણયને જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. સાથે જ તેણે પોતાના નિર્ણય અંગે ખુશી પણ વ્યક્ત કરી છે.
ઝાયરા ખાન બાદ હવે આ અભિનેત્રીએ બોલિવૂડને કહી દીધું અલવિદા
પોસ્ટ શેર કરતી વખતે સના ખાને કેપ્શનમાં લખ્યું છે- મારી ખુશીની ક્ષણ. આ સફરમાં અલ્લાહ મને મદદ કરે અને મને રસ્તો બતાવે. તમે બધાં મને તમારી પ્રાર્થનામાં સામેલ રાખજો. સનાએ તેની પોસ્ટમાં લખ્યું- ભાઈઓ અને બહેનો... હવે હું મારા જીવનના સૌથી અગત્યના વળાંક પર આવી ગઈ છું અને તમારી સાથે વાત કરું છું. હું વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો રહી છું. આ સમય દરમિયાન મને તમામ પ્રકારની પ્રસિદ્ધિ, સન્માન અને સંપત્તિ મળી. મને આ બધું મારા ચાહકોથ તરફથી મળ્યું, જેના માટે હું તેમની આભારી છું.
સનાએ આગળ લખ્યું- પણ હવે થોડાં દિવસોથી મને એવી અનુભૂતિ થઈ છે કે દુનિયામાં આવવાનો હેતુ ફક્ત પૈસા અને પ્રસિદ્ધિ મેળવવાનો જ છે? શું આપણી ફરજ નથી કે જેઓ નિરાધાર અને લાચાર છે આપણે તેમની મદદ કરીએ. આપણે વિચારવું ન જોઈએ કે મૃત્યુ કોઈપણ સમયે આવી શકે છે અને મૃત્યુ પછી શું થશે. આ બંને પ્રશ્નોના જવાબ હું ઘણાં સમયથી શોધી રહી છું. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મૃત્યુ પછી મારું શું થશે?
આ સવાલનો જવાબ જ્યારે મૈં મારા ધર્મમાં શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ખબર પડી કે દુનિયાનું આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવા માટે છે અને એ ત્યારે જ સુધરશે જ્યારે વ્યક્તિ તેના સર્જકના હુકમ મુજબ પોતાનું જીવન જીવશે અને માત્ર સંપત્તિ અને પ્રસિદ્ધિને જ પોતાનો લક્ષ્ય ન બનાવે. તેના બદલે, ગુનાહિત જીવનમાંથી બચીને માનવતાની ખિદમત કરે અને તેને પેદા કરનારાએ જણાવેલી રીત પર ચાલે.
તમને જણાવી દઈએ કે, સના ખાન બિગ બોસ 6 દરમિયાન ખૂબ જ ચર્ચામાં આવી હતી. હાલમાં જ તેણે તેના એક્સ બોયફ્રેન્ડ મેલ્વિન લુઇસ પર ઘણાં આક્ષેપો કર્યા હતા. અભિનેત્રીએ મેલ્વિન વિશે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ લખી હતી. જે બાદ ફરી એકવાર અભિનેત્રી ચર્ચામાં આવી હતી. હાલ, સનાએ મનોરંજન જગતને અલવિદા કહી દેતા તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.