લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવાની બન્ને પક્ષોએ કવાયત શરૂ કરી છે. પરંતુ સૌરાષ્ટ્રનું રાજકારણ અનોખું છે. સૌરાષ્ટ્રના પાટીદાર મતદારો ગમે તે રાજકીય પક્ષો માટે એક મોટી વોટબેંક છે. પરંતુ પાટીદારોમાં લેઉવા અને કડવા આ ભાવના જેટલી પ્રબળ છે એથી વધારે પ્રબળ મતમહેચ્છા રાજકીય પાર્ટીઓની છે એટલે જ તો સમરસતાની વાતો કરતા નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે ફરી પાછા જ્ઞાતિ અને જાતિના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત થઈ જાય છે. ત્યારે કોઈ પણ જાગૃત નાગરિકોમાં એ સવાલ ઉઠે છે કે જ્ઞાતિગત પ્રભાવથી બનેલી સત્તા પાસેથી સમરસતાની આશા રાખવી કે ?
રાજકોટ બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું
લોકસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાતની રાજનીતિ સૌરાષ્ટ્રના રાજકારણનું કોકડું ઉકેલવામાં ગૂંથાઈ ગઈ છે. બન્ને મુખ્ય પક્ષોની સમરસતાની વાતો ચૂંટણી પહેલા નંદવાઈ જાય છે. કેમકે ચૂંટણી વખતે લોકશાહી પર જ્ઞાતિશાહી અને જાતિશાહી હાવિ થઈ જાય છે. એટલે જ તો હાલ લોકસભા ચૂંટણી ટાણે સૌરાષ્ટ્રનું રાજકારણ રાજનીતિના ખેરખાઓ માટે કોયડો બની ગયું છે. કેમ કે સૌરાષ્ટ્રની રાજકોટ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠક પાટીદાર પ્રભાવિત છે. પરંતુ રાજકારણને પાટીદારોમાં પણ રહેલી બે પેટાજ્ઞાતિ લેઉવા અને કડવામાં વધારે રસ પડવા લાગ્યો છે. હજુ ચોવીસ કલાક પહેલા નરેશ પટેલને ચૂંટણી લડવા મનાવવામાં ભાજપ સફળ થશે તેવી આશંકા જન્મતાં જ કોંગ્રેસે દાવ અજમાવી દીધો. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને ટિકિટ આપવા મનામણાના ખેલ શરૂ કર્યા. કોંગ્રેસ શિવરાજ પટેલને કોંગ્રેસમાંથી રાજકોટ બેઠક પર લડાવવા માટે મનામણા કરી રહી હોવાની વાત સામે આવી રહી છે. જેના કારણે રાજકોટ બેઠકને લઈને પાટીદાર ફેક્ટર પર રાજકારણ ગરમાયું છે.
ભાજપના પહેલાં ઉમેદવાર તરીકે લલિત રાદડિયાનું નામ...
કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલના નામની અટકળો વહેતી કરી કે પોરબંદર બેઠક માટે કોંગ્રેસમાંથી દાવેદારી અને ઈચ્છા વ્યક્ત કરી ચૂકેલા લલિત વસોયાએ પોરબંદર બેઠક પરનો દાવો છોડી દેવા મન બનાવી લીધું. જો કે તેમણે એવી વાત મૂકી છે કે, પોરબંદર બેઠક પર કડવા પાટીદારને ટિકિટ આપવામાં આવે તો તેને પૂરેપૂરું સમર્થન હશે. જો કે, પોરબંદર બેઠક માટે લલિત વસોયાની ગણતરી કંઈ જુદી પણ હોઈ શકે છે. જેમ કે, પોરબંદરના ચઢાણ વસોયાને કપરા લાગતા હોઈ શકે. કારણ કે, ભાજપમાંથી ચર્ચાતા બે નામ કગથરાની મુશ્કેલી વધારી શકે છે. ભાજપના પહેલાં ઉમેદવાર તરીકે લલિત રાદડિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે. તો બીજા ઉમેદવાર તરીકે જશુમતિબેન કોરાટ છે. આ વિસ્તારમાં રાદડિયા અને કોરાટ પરિવારનું વર્ચસ્વ છે. જેને લઈને લલિત વસોયાની મુશ્કેલી વધી શકે છે. એટલે કે, પ્રાથમિક દ્રષ્ટીએ કોંગ્રેસમાંથી લેઉવા પાટીદારને જીતવું મુશ્કેલ લાગ્યું હોઈ શકે. જ્યારે ભાજપમાંથી બંને ઉમેદવારો માટે રસ્તો આસાન લાગી રહ્યો છે. જેથી રાજકોટ બેઠક પરથી લલિલ વસોયાએ નરેશભાઈના પુત્રનું નામ આગળ કરી દૂરનું વિચાર્યું હોય તેવું પણ લાગી રહ્યું છે.
તો આ તરફ રાજકોટ બેઠક માટે કોંગ્રેસ હજુ નામ નિશ્ચિત કરી શકી નથી. નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનુ નામની કોંગ્રેસમાંથી જેવી અટકળ શરૂ થઈ કે શિવરાજ પટેલે હાલ તો પોતે રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોવાની વાત કરી છે. પરંતુ આ પ્રકારના નિવેદન પરથી તેમની ઈચ્છા કળવી હજુ અઘરી છે. કેમ કે ગઈ વિધાનસભા ચૂંટણી વખતે પરોક્ષ રીતે પણ તેમનો ઝૂકાવ કોંગ્રેસ તરફી જોવા મળ્યો હતો. કેમ કેવિધાન સભા-2017ની ચૂંટણીમાં શિવરાજે રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાને સમર્થન આપીને તેમના માટે મત પણ માગ્યા હતા. એટલે તે કોંગ્રેસના મનામણાથી રાજકોટ બેઠક માટે લડવા તૈયાર પણ થઈ શકે છે. કેમ કે તેમના માટે રસ્તો ઘણો સાફ છે. સમાજમાંથી પણ પૂરતું સમર્થન છે અને એટલે જ તો લલિત કથગરાએ પણ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે એટલું જ નહીં એક સમયે આ બેઠક પર ભાજપમાંથી પોતાની દાવેદારી ઈચ્છતા પરેશ ગજેરાએ પણ પરોક્ષ રીતે શિવરાજ માટે રસ્તો સાફ કરવા પોતે ખસી જવાની તૈયારી દર્શાવી છે.
આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવી શક્યતા
શિવરાજ પટેલ હાલ તો રાજકારણ સાથે કોઈ સંબંધ નહીં હોવાની વાત પણ જણાવી ચૂકયા છે. જેથી હજુ નિશ્ચિત નથી કે શિવરાજ લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થાય છે કે કેમ. આમ, હાલ તો જો અને તો ની સ્થિતિ છે. પરંતુ જો શિવરાજ ચૂંટણી લડવા માટે રાજી થાય તો આગામી સમયમાં ગુજરાતનું રાજકારણ વધુ રસપ્રદ બને તેવી શક્યતાઓ છે. કેમકે શિવરાજ પટેલ એ ચહેરો છે જે કોંગ્રેસને સૌરાષ્ટ્રની અન્ય પાટીદાર પ્રભાવિત બેઠકો પર લાભદાયિ પ્રદર્શન કરાવી શકે છે.