ઉલ્હાસનગરમાં બનેલી દુર્ઘટના બાદ ફાયર ફાઈટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા કાટમાળ હટાવીને લોકોને બચાવવાનો પ્રયાસ
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં મોટી દુર્ઘટના
ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત
કાટમાળ નીચે દટાયેલાં અનેક લોકોને બચાવવાની કવાયત શરૂ
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. થાણેના ઉલ્હાસનગર શહેરમાં પાંચ માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયાં હતાં. આ તરફ કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના ગુરુવારે સવારે 11.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. સ્થળ પર ફાયર ફાઈટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કાટમાળ હટાવીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
થાણેના ઉલ્હાસનગર તહસીલદાર (મહેસૂલ અધિકારી) કોમલ ઠાકુરના જણાવ્યા અનુસાર, થાણેના ઉલ્હાસનગર કેમ્પ 5માં સ્થિત પાંચ માળની ઇમારતના ત્રીજા માળનો સ્લેબ સવારે 11.30 વાગ્યે તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં બે મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. આ સાથે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગમાં લગભગ 30 ફ્લેટ હતા. આ ઈમારત ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી અને તેને ખાલી કરવા માટે લોકોને નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં 5 પરિવારો તેમાં રહેતા હતા.
આ તરફ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, સ્થાનિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો, પોલીસ, રેવન્યુ અને મ્યુનિસિપલ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ સાથે કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. તે જ સમયે, ચાર મૃતકોની ઓળખ સાગર ઓચાની (19), પ્રિયા ધનવાણી (24), રેણુ ધોલનદાસ ધનવાણી (54) અને ધોલદાસ ધનવાણી (58) તરીકે થઈ છે.