ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં મૃત દંપતિની પૌત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે જે દિવસે ઘટના બની તે દિવસે પૌત્રી મિત્ર સાથે રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરવા ગઈ અને બાદમાં ડિનર માટે ગઈ હોવાનું જણાવ્યું છે.
ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં તપાસ
40થી વધુ લોકોના પોલીસે નિવેદન લીધા
હત્યા મામલે જુના ઘરઘાટી પર પોલીસને શંકા
શહેરમાં ધનતેરસના દિવસે અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી, જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પારસમણી એપાર્ટમેન્ટમાં લૂંટના ઈરાદે આવેલા કેટલાક શખ્સોએ વૃદ્ધા દંપતિની હત્યા કરી દીધી હતી જે બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, વૃદ્ધા દંપતિ સાંજના સમયે એકલા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ દંપતીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવી ફરાર થઈ ગયા હતા.
40થી વધુ લોકોના પોલીસે નિવેદન લીધા
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ઘટના સ્થળેથી પૂરાવાઓ એકત્રિક કરી આરોપીઓને શોધખોળ હાથ ધરી હતી. જોકે હવે આટલા દિવસ બાદ પણ આરોપીઓનો કોઈ પત્તા ન લાગતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મૃતક દયાનંદ સાનભરા અને તેમના પત્ની વિજયાલક્ષ્મી આ ફ્લેટમાં એકલા રહેતા હતા, તે દરમિયાન મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી બહાર ગઈ હતી ત્યારે તકનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે બંનેની હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
હત્યા મામલે જુના ઘરઘાટી પર પોલીસને શંકા
ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસની તપાસમાં પોલીસે નવા ઘરઘાટીની પૂછપરછ હાથ ધરી જેમાં જુના ઘરઘાટી પર શંકાની સોય સેવાઈ રહી છે. અત્યાર સુધીમાં 40થી વધુ લોકોના પોલીસે નિવેદન લીધા છે. જો કે હજુ સુધી જૂના ઘરઘાટીનો સંપર્ક થઈ શક્યો નથી. જે દિવસે ઘટના બની તે દિવસે પૌત્રી મિત્ર સાથે રિવરફ્રન્ટ પર સાઈકલિંગ કરવા ગઈ અને બાદમાં ડિનર માટે ગઈ હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. જોકે હવે પોલીસ દ્વારા જૂના ઘરઘાટીને શોધ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ ઘરઘાટીની શોધખોળ શરૂ કરી દીધી છે, હત્યા અંગત અદાવાતમાં થઈ હોવાની પણ પોલીસ દ્વારા શંકા સેવાઈ રહી છે. પોલીસે પરિવાર, મિત્રો, પાડોશીઓ અને ફેરિયાની પણ પૂછપરછ હાથ ધરી છે.