અમરેલીમાં આજે સી.આર.પાટીલે AAPનું નામ લીધા પહેલા તેમના પર પ્રહાર કરતા કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂટણી પહેલા ઝાડુવાળાએ સફળતાથી બિસ્તરા પોટલા બાંધી લીધા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે કેટલાક લોકોએ રાજુલામાં રેલ્વેની જમીન તેમજ બગીચા પડાવી લેવા માટે પણ પ્રયાસ કર્યો હતો.
સી.આર.પાટીલનું મોટું નિવેદન
રાજ્યમાં હાલ જોરશોરથી વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે આવા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપ્યું . જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમરેલીમાં તેમણે 60 થી ઉપરના કાર્યકરોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવા માટે મોટું નિવેદન આપ્યું છે.
60થી વધુંના કાર્યકરોને ટિકિટ મળશે
વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટની વહેચણી થાય તે પહેલા સી.આર.પાટીલે એવું કહી દીધું કે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને પણ ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવશે. જેથી વિધાનસભા ચૂંટણીમાં 60 વર્ષથી મોટી ઉંમરના કાર્યકરોને ટીકિટ આપવામાં આવશે તે વાત સી. આર.પાટીલ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60થી વધુંના લોકોને ટિકિટ નહોતી મળી
વધુમાં તેમણે એવું કહ્યું કે 60 વર્ષથી વધારે ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરતોજ હતો. સાથેજ તેમણે રમૂજી અંદાજમાં એવું પણ કહ્યું હતું કે જો 60થી વધું ઉમરના કાર્યકરોને ટિકિટ આપવામાં નહી આવે તો અહિયા બેઠેલા કેટલાક ધારાસભ્યો તો હાલજ જતા રહેશે.
અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નિર્ણયો લેવાયા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભાજપની કોર કમિટી દ્વારા અમુક નિયમો બનાવામાં આવ્યા હતા. જેમા એક પરિવારના એકજ સભ્યને ટિકીટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથેજ ત્રણ ટર્મ પૂરા કરેલ અને 60 વર્ષથી વધુંના ઉમેદવારને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.