અમદાવાદના અગ્નિકાંડના મામલે સરકારનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. ગઈકાલે રાત્રે શ્રેય હોસ્પીટલમાં આગ લાગવાને કારણે ICUમાં ભરતી કરેલા 8 દર્દીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતાં. જેના પર પોલીસે અકસ્માતે મોતની કલમ નોંધીને તપાસ હાથ ધરી હતી. જયારે આજે સરકારી ચોપડે 8 હતભાગીઓના મૃત્યુનું કારણ કોરોના વાયરસને દર્શાવવામાં આવ્યું છે. આ સંવેદનશીલ સરકારની આ તે કેવી સંવેદનહીનતા છે???
શ્રેય હોસ્પીટલના અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોત થયા હતાં
પોલીસે અકસ્માતે મોતની કલમ નોંધીને તપાસ હાથ ધરી હતી
કેસની તપાસ ચાલુ ને દર્દીઓના મોતનું કારણ કોરોના!!!
અમદાવાદમાં ગઈ કાલે રાત્રે એક પ્રાઇવેટ હોસ્પીટલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં તત્કાલીન સમયે ICUમાં ભરતી 5 પુરુશો અને 3 સ્ત્રીઓ સહિત 8 દર્દીઓના મૃત્યુ થયા હતાં.આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાતા હોસ્પીટલ પાસે ફાયર વિભાગનું NOC પણ ન હોવાનું સામે આવ્યું હતું. આમ તંત્રની કોવિડ કેર હોસ્પિટલ જાહેર કરવાના મામલે પહેલાથી જ તપાસ કર્યા વગર જાહેર કરવાની ઘોર બેદરકારી સામે આવી છે. જયારે આજે તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું હતું તે તો સૌથી વધુ શરમજનક કૃત્ય છે. તંત્ર દ્વારા સરકારી ચોપડે તે તમામ દર્દીઓના મોતનું કારણ કોરોના હોવાનું નોંધાયું છે.
શું બન્યું હતું એ ગોઝારી રાતે?
વોર્ડ બોય ચિરાગ પટેલના જણાવ્યાં પ્રમાણે તે રાત્રે પોણા ત્રણના સુમારે પાણી પીવા બહાર આવ્યો ત્યારે ICUમાં એક સ્ટાફ બ્રધર અંદર હતો. અચાનક જ પાણી લાવો તેવી બુમો પડી હતી. તેઓ દોડતા અંદર ગયા તો 9 નંબરના દર્દીના વાળ સળગતા હતા. એ દરમિયાન સ્ટાફ બ્રધર ગૌરવ PPE કીટ પહેરી બચાવવા ગયો હતો. પરંતુ તેમની PPE કીટ સળગવા લાગતા ડોક્ટર તેમને બચાવવા ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યાં અંદર એક બ્લાસ્ટ થયો. જે બાદ ફાયરની ટીમ આવતા તેમણે ચિરાગને અંદર જવાની ના પાડી હતી. પરંતુ તે પોતે બચાવ માટે કામ કરવા તૈયાર છે તેવું કહેતા ઓક્સિજન કીટ પહેરીને જવા દેવામાં આવ્યા, પરંતુ ખુબ ધુમાડો અને આગ હોવાથી કઈ જોઈ શકાતું નહોતું. જેથી બચાવ કામગીરીમાં ખુબ જ મુશ્કેલી પડી હતી.
આપ્તજનોનો આક્રંદ , નથી મળી રહી કોઈ માહિતી
રાત્રે આગ લાગ્યા બાદ લગભગ 3.20ના સુમારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેની મદદથી 3.30 વાગ્યાથી દર્દીઓની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોસ્પીટલમાં ભરતી અન્ય દર્દીઓને SVP હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં, એક કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હોવાથી તેના તમામ દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ખસેડાયા હતાં. કુલ 50ની ક્ષમતા ધરાવતી આ હોસ્પીટલમાં 40થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. આ હોસ્પિટલના ક્યા પેશન્ટ્સને ક્યાં ખસેડાયા તે બાબતની કોઈ માહિતી તંત્ર કે હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનોને અપાઈ નહોતો જેના બાબતે દવાખાના બહાર પોલીસ સાથે પરિવારવાળાનું ઘર્ષણ થયું હતું. આપ્તજનો આક્રંદ કરતાં જોવા મળ્યાં હતાં કે તેમને માત્ર મીડિયા દ્વારા જ જાણકારી મળી છે.
હોસ્પીટલની 'બેદરકારી' તો શું AMCને ક્લીનચિટ?
તપાસમાં હોસ્પીટલના ફાયર સેફ્ટીના સાધનો અને સરંજામ અપૂરતા હતાં તેવું સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે સાધનો હતાં તેમાં પણ ઘણાંખરા એક્સપાયર હતાં અને સૌથી મોટી લાપરવાહી એ કે શ્રેય હોસ્પિટલ પાસે ફાયર વિભાગ નું NOC જ નહોતું, તો કઈ રીતે આ હોસ્પિટલ કાર્યરત હતી? આ બાબતે હોસ્પિટલ તંત્ર જવાબદાર ગણાય. તો શું AMCને ક્લીનચીટ આપી દેવાશે?
AMC જ આપે છે ફાયર માટેનું NOC
ઉલ્લેખનીય છે કે AMCનું જ ફાયર વિભાગ હોસ્પિટલો અને અન્ય મિલકતોને ફાયર માટેનું NOC ઇસ્યુ કરતુ હોય છે અને AMCના વિભાગો દ્વારા જ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે કરાર કરીને તેને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરાતી હોય છે તો શું આ કરાર પહેલા હોસ્પિટલની કોઈ જ જરૂરી ચકાસણી વગર જ તેને કોવિડ કેર સેન્ટર બનાવી દેવાય છે? આ મામલે AMC તંત્ર પણ શંકાના ઘેરાવામાં આવે છે, કોવિડ કેર સેન્ટર બનાવવાના મામલે આટલી બેદરકારી દાખવતી AMC પણ આ દર્દીઓના અપમૃત્યુ અને તેમના આપ્તજનોના આક્રંદ માટે જવાબદાર ખરી કે નહિ?