ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને કોરોના નિયંત્રણ ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર દ્વારા રાહત, 11 જૂન પછી હોટલ-રેસ્ટોરન્ટમાં 50 ટકાની છૂટ સાથે ભોજન લઈ શકાશે
રાત્રિ કરફ્યુ મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય
11 જૂનથી નિયંત્રણો હળવા કરવામાં આવશે
50 ટકાની છૂટ સાથે હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજનની છૂટ
ગુજરાતમાં રાત્રી કર્ફ્યુને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 11 જૂન પછી નિયંત્રણોમાં રાહત આપવામાં આવશે. જેમાં હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની છૂટ પણ મળશે. 50 ટકાની સંખ્યામાં લોકો હોટલ-રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. જેમાં તારીખ 11 જૂન 2021ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે 6 વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર:-
• રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021થી 26 જૂન ના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.
• ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.
• રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9થી તારીખ 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે
• તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે
• વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે
• જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને SOPનું પાલન આવશ્યક રહેશે
• રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે
• રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં SOPના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે
• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે
• શહેરી બસ સેવાઓ અને ST બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે