કોરોનાના ખતરાથી બચાવનાર વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને હવે એ વાતની ચિંતા સતાવી રહી છે કે આ વેક્સિન કેટલા મહિના સુધી સાથ આપશે. હવે ભારતમાં પણ બૂસ્ટર ડોઝ લગાવવાને લઇ ચર્ચા થઇ રહી છે.
કોરોનાના બંને ડોઝ લેનારા લોકોને સતાવી રહ્યો છે ડર
શું બૂસ્ટર ડોઝ લેવાથી કોરોનાના કેસો ઘટી જશે?
તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી: નિષ્ણાંતો
શું બૂસ્ટર ડોઝ લગાવવાથી કોરોનાના કેસો ઘટી જશે?
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓના આંકડા હાલમાં રોજ ૧૦,૦૦૦થી ૧૪,૦૦૦ની વચ્ચે આવી રહ્યા છે. લોકો અત્યારે પણ દરરોજ કોરોના વાઇરસની ચપેટમાં આવી રહ્યા છે. જે લોકો વેક્સિન લગાવી ચૂક્યા છે તેમને પણ કોરોના વાઇરસે પોતાની ચપેટમાં લીધા છે. એવામાં સવાલ એ છે કે શું હવે ત્રીજો ડોઝ લગાવવો જોઇએ? શું બૂસ્ટર ડોઝ કોરોના વાઇરસને ઓછો કરવામાં સફળ સાબિત થશે?
બૂસ્ટર ડોઝ તરીકે તમારે કોવેક્સિન લેવી જોઇએ: એઈમ્સ ડાયરેક્ટર
એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં અનુસાર જો તમારે ક્યારેય પણ બૂસ્ટર ડોઝ લેવો હોય તો અલગ વેક્સિનનો લેવો જોઇએ. તેનો અર્થ એ છે કે જો તમે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા તો બૂસ્ટર ડોઝ તરીકે તમારે કોવેક્સિન લેવી જોઇએ. આ પ્રકારે જો તમે કોવેક્સિનના બંને ડોઝ લીધા છે તો હવે તમારે કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવો જોઇએ.
તમામ લોકોએ બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી: નિષ્ણાંતો
નિષ્ણાંતો કહે છે કે તમામ લોકોને બૂસ્ટર ડોઝની જરૂર છે એટલે કે તેના પર આગામી થોડાં અઠવાડિયાંમાં સરકાર એક પોલિસી લાવીને નિર્ણય લઇ શકે છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો, વડીલો અને નબળી ઇમ્યુનિટીવાળા લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી શકે છે, જોકે કોવેક્સિન રિસર્ચર ડો. સંજય રાયના જણાવ્યા અનુસાર દરેકે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નહીં પડે. ખાસ કરીને એવા લોકો કે જેમને એક વાર કોરોના થઇ ચૂક્યો છે તેમના શરીરમાં વાઇરસ સામે લડવા માટે એક નેચરલ પ્રક્રિયા થઇ જાય છે એટલા માટે તેમને વેક્સિનની જરૂર નથી.
આ દેશો બૂસ્ટર ડોઝ લગાવી રહ્યાં છે
બ્રિટન, અમેરિકા, કેનેડા, ઇઝરાયલ સહિત દુનિયાના લગભગ ૩૦થી વધુ દેશ બૂસ્ટર ડોઝ લગાવી રહ્યા છે, પરંતુ ભારતમાં હજુ પણ ૩પ ટકા વસ્તીને વેક્સિનનો એક પણ ડોઝ લગાવાયો નથી. દેશમાં ડિસેમ્બર સુધી વેક્સિનેશન કાર્યક્રમ પૂરો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ બાળકોને વેક્સિન લગાવવાની શરૂઆત થઇ શકે છે.