રેલવે બોર્ડ દ્વારા નવી ટ્રાન્સફર નીતિનો આજથી જ અમલ શરૂ, 13 લાખ રેલવે કર્મચારીઓને ટ્રાન્સફર કરવાની સ્વતંત્રતા મળશે
આઝાદીના અમૃત પર્વ દરમ્યાન રેલવેના 13 લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર
13 લાખ રેલવે કર્મચારીઓને ટ્રાન્સફર કરવાની સ્વતંત્રતા આપશે
આજથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો નવી ટ્રાન્સફર નીતિ
આઝાદીના અમૃત પર્વ દરમ્યાન આજે ભારતીય રેલવેના 13 લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેલવે કર્મચારીઓની સમસ્યા એ છે કે તેઓ ઘરથી દૂર પોસ્ટેડ છે. આ જ કારણ છે કે, તેઓ તેમના ઘરની નજીક આવવા માટે ટ્રાન્સફર મેળવવાનો પ્રયાસ કરતા રહે છે અને તે ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ હવે ટ્રાન્સફરનું કામ આસાનીથી થઈ શકશે.
ભારતીય રેલવે બોર્ડ દ્વારા એવી નીતિ તૈયાર કરવામાં આવી છે જે 13 લાખ રેલવે કર્મચારીઓને ટ્રાન્સફર કરવાની સ્વતંત્રતા આપશે. તે 15 ઓગસ્ટ 2022 એટલે કે આજથી જ દેશભરમાં લાગુ કરવામાં આવી છે.
રેલવે દ્વારા પણ વિવિધ પ્રકારના ટ્રાન્સફર છે. જોકે ફેક્ટરી સ્ટાફની નિયમિત ટ્રાન્સફર સામાન્ય રીતે વર્કશોપની અંદર જ થાય છે. સાથે જ જે સ્ટાફ ડિવિઝનમાં પોસ્ટેડ છે, તેને ડિવિઝનમાં જ ટ્રાન્સફર થઈ જાય છે. પરંતુ જો કોઈ સ્ટાફને ઈન્ટર ડિવિઝન કે ઈન્ટર ઝોનલ ટ્રાન્સફર જોઈતી હોય તો તેમાં મોટી સમસ્યા છે. જોકે, જો કોઈ સ્ટાફ પરસ્પર ટ્રાન્સફર કરે તો આ કાર્ય સરળ બની જાય છે. પરંતુ જો આવું ન હોય તો તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે.
શું છે નવી ટ્રાન્સફર નીતિ ?
રેલ્વે કર્મચારીઓના ટ્રાન્સફર સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે રેલ્વે મંત્રાલયે 15મી ઓગસ્ટ 2022 (સોમવાર)થી ટ્રાન્સફર નીતિ લાગુ કરી છે. આ અંતર્ગત રેલવે સોફ્ટવેર બનાવતી સંસ્થા સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (CRIS)એ કર્મચારીઓના સંચાલન માટે એક મહત્વપૂર્ણ મોડ્યુલ તૈયાર કર્યું છે. તેને HRMS નામ આપવામાં આવ્યું છે.
શું કહ્યું રેલ્વે બોર્ડે ?
રેલ્વે બોર્ડના જણાવ્યા અનુસાર આંતર ઝોનલ અને આંતર વિભાગીય ટ્રાન્સફર માટેની તમામ અરજીઓ અહી દાખલ કરવામાં આવશે. આ સિવાય જેમની ટ્રાન્સફર એપ્લિકેશન પેન્ડિંગ છે, તે પણ તેના પર અપલોડ કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોડ્યુલના અમલીકરણથી ટ્રાન્સફરમાં પારદર્શિતા આવશે.