BIG NEWS /
મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક: જયસુખ પટેલ હવે ભાગેડું આરોપી, 1200 પાનાની ચાર્જશીટ દાખલ
Team VTV12:15 PM, 27 Jan 23
| Updated: 12:30 PM, 27 Jan 23
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું છે. કેસમાં 1200 પાનાની ચાર્જશીટ કરાઇ દાખલ.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં 1200 પાનાની ચાર્જશીટ ફાઈલ
ચાર્જશીટમાં કુલ 10 આરોપીઓના પણ નામ લખવામાં આવ્યા
જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું
મોરબી પુલ દુર્ઘટના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ કેસને 90 દિવસ પૂર્ણ થતા તપાસનીસ અધિકારીના નિવેદન સહિત 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેસમાં જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે ઉમેરાયું છે. તદુપરાંત ચાર્જશીટમાં કુલ 10 આરોપીઓના પણ નામ લખવામાં આવ્યા છે.
શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીત
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની કરવામાં આવી ધરપકડ
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સામે ઈશ્યૂ થઇ ચૂક્યું છે વોરન્ટ
જયસુખ પટેલે આગોતરા જામીન માટે કરી હતી અરજી
આગોતરા જામીનની અરજીમાં સુનાવણી ટળી હતી
મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ
મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ આરોપી ગણાવવામાં આવશે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે.
વકીલે કરી હતી આગોતરા જામીન અરજી
મોરબી દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલ ક્યારે સામે આવ્યો નથી અને અચાનક તેના વકીલે 24મી જાન્યુઆરીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, મોરબીની કોર્ટે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.
ચીફ ઓફિસરે આપ્યું હતું પાયાવિહોણું નિવેદન
આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું હતું. મોરબી પાલિકાએ દુર્ઘટનાને લઈ આ પુલનો વહીવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમારા દ્વારા પરમિશન નહોતી અપાઈ હતી છતાં આ સંસ્થાએ ઝૂલતા પુલને ખુલ્લો મુકી દીધો હતો. આ મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા
ત્યારબાદ આ મામલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા હતા. જેમાં ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સિક્યુરિટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવામાં આવી હોવાના ખુલાસા થયા હતા. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.સી.જોષીની કોર્ટમાં ફરિયાદ પક્ષે આ અંગે પુરાવા રજૂ કર્યા હતા. આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઊંડી તપાસ કરી કશૂરવારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.