ખેડા જિલ્લામાં વિદ્યાસહાયકો-શિક્ષક ભરતી કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ હતી.આ પ્રકરણમાં મૂળ ફરિયાદી જિજ્ઞાશા પટેલ પશ્ચિમ પોલીસ મથકે પહોચ્યા હતા.
ખેડામાં વિદ્યાસહાયકો-શિક્ષક ભરતી કૌભાંડનો મામલો
નડીયાદ પશ્ચિમ પોલીસે કોર્ટમાં ફરિયાદ રજૂ કરી
સાક્ષી તરીકે જિજ્ઞાસાબેન પટેલનું પોલીસે લીધું નિવેદન
ખેડામાં વિદ્યાસહાયકો-શિક્ષક ભરતી કૌભાંડ મામલે નડીયાદ પશ્ચિમ પોલીસે કોર્ટમાં ફરિયાદ રજૂ કરી છે. મૂળ ફરિયાદી જિજ્ઞાશા પટેલ પુરાવા સાથે પશ્ચિમ પોલીસ મથકે પહોચ્યા હતા જ્યાં તમને કૌભાંડની ફરિયાદમાં પોલીસે સાક્ષી બનાવ્યા છે. સાક્ષી તરીકે જિજ્ઞાસાબેન પટેલનું પોલીસે નિવેદન લીધું હતું. તેમાં જિજ્ઞાસાબેને જણાવ્યું હતું કે ભરતીમાં અન્યાય થતા અમે કોર્ટમાં ફરિયાદ કરી હતી. બોગસ દિવ્યાંગ સર્ટીઓ રજૂ કરીને તત્કાલીન DPOએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. કૌભાંડ મામલે છેલ્લા 12 વર્ષથી લડાઈ ચાલુ હોવાનું જિજ્ઞાશાબેને જણાવ્યું હતું. પોલીસે વારંવાર કોર્ટમાં ખોટા જવાબો રજૂ કર્યા હોવાનુ પણ જણાવાયું હતું. પરંતુ લાંબી લડત બાદ ફરિયાદ નોંધાતા આનંદની અનુભૂતિ થઈ હોવાનું જિજ્ઞાશાબેને ઉમેર્યું હતું. વધુમાં આજે નડીયાદ કોર્ટમાં આ અંગે સુનાવણી હોવાનું જણાવ્યું હતું.
શું હતું સમગ્ર કૌભાંડ ?
વર્ષ 2009-10માં ખેડા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કે.એન. બામણીયાએ વિદ્યા સહાયકોની ભરતી કરી હતી. જેમાં પોતે રાજ્ય સેવક તરીકે હતા. આ ભરતીમાં ગેરરીતિ આચરી લગભગ 13 જેટલા ઉમેદવારોને ખોટી રીતે ખોટા દસ્તાવેજો રેકોર્ડ ઊભા કરી સિધી ભરતી કરી દીધી હતી. આ કૌભાંડ થોડા વર્ષો અગાઉ ઉજાગર થતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર મામલે તપાસ કરવામાં આવતાં અંતે પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.
21મી ડિસેમ્બર 2009ના રોજ થઈ હતી ભરતીની જાહેરાત
ઉપરોક્ત 2009-10ના વર્ષમાં જિલ્લા શિક્ષણ સમિતિ ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા વિદ્યા સહાયક ભરતીમાં કુલ 141 વિદ્યા સહાયકોની ભરતી માટેની જાહેરાત 21મી ડિસેમ્બર 2009ના રોજ કરવામાં આવી હતી. જે બાદ નિમણૂંક પામેલા વિદ્યા સહાયકની નિમણૂકને પાંચ વર્ષ પૂર્ણ થતા આ કચેરી દ્વારા નિયમિત પગાર ધોરણમાં સમાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ 10 વિદ્યાસહકોનો નિમણૂંક આપવામાં આવી હતી. પરંતુ તેઓના નામ મેરીટ યાદી તેમજ પ્રતિક્ષા યાદીમાં નહોતા. 6 ફેબ્રુઆરી 2016ના રોજ તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યા સહાયકોને નિયમિત પગાર ધોરણમાં સમાવ્યા હતા. ઉપરાંત વર્ષ 2018માં પણ વધુ 3 ઉમેદવારોએ આ રીતે લાભ લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
ભરતી મામલે સમગ્ર કૌભાંડ ઉજાગર થયું
આમ કુલ 13 વિદ્યા સહાયકોની ખોટી ભરતી મામલે સમગ્ર કૌભાંડ ઉજાગર થયું હતું. વર્ષ 2020માં તપાસ અહેવાલોના ધમધમાટ શરૂ થતા તપાસના અંતે કુલ 13 ઉમેદવારોની નિમણૂકમાં ગેરરીતિ થયેલાનું સ્પષ્ટ પણે બહાર આવ્યું હતું અને આ સમગ્ર કૌભાંડનો કરતા હર્તા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એન. બામણીયા હતા. આ અધિકારીએ પોતે રાજ્ય સેવક હોય પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટા રેકોર્ડ તૈયાર કરી સહીઓ કરી પુરાવા તરીકે કુલ 13 જેટલા ઉમેદવારોને ગેરરીતી આચરી ઉમેદવારોને સરકારી નોકરી તથા પગાર ભથ્થાનો લાભ મળે તે હેતુસર નિમણૂક આપેલ હતી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ બાબતે નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગરની કચેરી સૂચના અનુસાર કેસની ગંભીરતાને ધ્યાને લઈ હાલના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ખેડા જિલ્લા પંચાયત નડિયાદના ઉમેશકુમાર માછીએ તે સમયના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હાલ નિવૃત કે.એન.બામણીયા સામે નડિયાદ પશ્ચિમ પોલીસમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે આરોપી કે.એન. બામણીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.