ગાંધીનગરની મનપાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે જેમાં 3 ઓક્ટોબર 2021ના રોજ મતદાન યોજાશે તેવી જાહેરાત કરાઈ છે.
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી જાહેર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પણ પેટા ચૂંટણી
પાંચમી ઓક્ટોબરે પરિણામ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ લગભગ નામશેષ થવાના આરે છે.ત્યારે, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે સતાવાર જાહેરાત ગુજરાત ચૂંટણી પંચે કરી દીધી છે. આ મુજબ ત્રીજી ઓક્ટોબરે મતદાન થશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર પૂર્વે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની સતાવાર જાહેરાત થઇ ચુકી હતી. પરંતુ,કોરોનાના વધતા સંક્રમણને લઈને ચૂંટણી પંચે,ચૂંટણી યોજવાનો નિર્ણય સ્થગિત કર્યો હતો.
મતદાન-મત ગણતરી ક્યારે ?
રાજ્યની પાલિકા-પંચાયતમાં ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે જે માટેનું જાહેરનામું 13 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ થશે. એમાં ઓન લાઈન પણ ઉમેદવારી પત્રક ભરી શકાશે. તો ઉમેદવારીપત્રક ભરવાની અંતિમ તારીખ 18 સપ્ટેમ્બર રહેશે. ઉમેદવારી ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 21 સપ્ટે. રહેશે. સંપૂર્ણ ચૂંટણી માટે મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.ત્રીજી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીનું પરિણામ પાંચમી ઓક્ટોબરે આવશે.
કેટલી બેઠકો પર ચૂંટણી
રાજ્યમાં અલગ-અલગ નગરપાલિકાઓની 39 બેઠક, તાલુકા પંચાયતોની 47 જેટલી ખાલી બેઠક પર ચૂંટણી, જૂનાગઢમાં વોર્ડ નંબર 8 ની પેટા ચૂંટણી, અને 7 જીલ્લા પંચાયતની 8 બેઠકો પર ચૂંટણી થશે. રાજ્યમાં ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે તો અમદાવાદ મહાપાલિકાની બે બેઠકો વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 45 અને ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી થશે.
એ ઉમેદવારોએ ફરીથી નહિ ભરવા પડે ફોર્મ
મહત્વનું છે કે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચે ગાંધીનગર મનપા અને અન્ય પાલિકાની પેટા ચૂંટણીઓનો તારીખો જાહેર કરી હતી. જેમાં જણાવાયું હતું કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમને ફરીથી ભરવાના નહીં રહે. ઉલ્લેખનીય છે કે કોરોનાને ધ્યાનમાં રાખીને અગાઉ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય બાદ વચ્ચેથી મોકૂફ કરી દેવાઈ હતી. જેના કારણે કેટલીક પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી.
ચૂંટણી મોકૂફ રાખવા થઇ હતી રજૂઆત
રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી એપ્રિલ મહિનામાં મોકૂફ કરી દીધી હતી. રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઇ ચૂંટણી મોકૂફ કરાઈ હતી. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. તમામની રજૂઆત બાદ ચૂંટણી પંચે નિર્ણય લીધો હતો.
મહત્વનું છે કે અગાઉ ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે,ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી હતી અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી છે.
ગાંધીનગરની ચૂંટણીનું મહત્વ શું છે
કોરોનાની બીજી લહેર બાદ ગાંધીનગર મનપામાં ચૂંટણી આવે છે
કોરોનાની બીજી લહેરમાં સરકારની ભારે ટીકા થઇ હતી
વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મનપાની ચૂંટણી આવે છે
ગત ગાંધીનગર મનપામાં કોંગ્રેસને સીટ વધારે આવી હતી
આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે
ગાંધીનગરમાં મોટા ભાગે ગણેલ-ગણેલ વર્ગ વસવાટ કરે છે
ગાંધીનગર મનપાની ચૂંટણીની બીજી ચૂંટણી પર અસર પડી શકે