મમતા ટીએમસીની ટિકિટ પર રાજ્યસભા મોકલે તેવી પણ ચર્ચા
ભાજપનું ટેન્શન વધશે
શત્રુઘ્ન સિંહા અને સીએમ મમતા બેનરજીના સંબંધો પણ સારા રહ્યાં છે અને તાજેતરના સમયમાં તેમની વચ્ચેની નિકટતા પણ ખૂબ વધી છે જે જોતા સિંહાનું ટીએમસીમાં સામેલ થવાનું નકારી ન શકાય. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસમાં પોતાનો ભાવ ન ઉપજતો જોઈને સિંહા ટીએમસીમાં સામેલ થવાનું વિચારી રહ્યાં છે આમેય મમતા સાથેના તેમના સંબંધો પણ ખૂબ સારા છે.
21 જુલાઈએ ટીએમસીમાં જોડાય તેવી શક્યતા
સૂત્રોના જણાવ્યાનુસાર 21 જુલાઈએ શત્રુઘ્ન સિંહા ટીએમસીમાં સામેલ થઈ શકે છે. મમતા તેમને રાજ્યસભાના સાંસદ બનાવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. હાલમાં ટીએમસીની રાજ્યસભાની બે બેઠકો ખાલી છે. એટલે જો સિંહા ટીએમસીમાં આવે તો તેમને સહેલાઈથી રાજ્યસભાની ટીકિટ મળી શકે છે.
શત્રુઘ્ન સિંહા ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા છે
શત્રુઘ્ન સિંહા અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બિહારની પટણા સાહેબ બેઠક પરથી ભાજપના બે વાર સાંસદ રહ્યાં છે. ભાજપે ટિકિટ ન આપતા સિંહા 2019 માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા અને કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ટિકિટ આપી હતી જોકે તેઓ ભાજપના રવિશંકર પ્રસાદની સામે હારી ગયા હતા.
ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો પડશે
ઉલ્લેખનીય છે કે ભાજપના સિનિયર નેતા યશવંતસિંહા પણ ટીએમસીમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો ટીએમસીમાં આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શત્રુઘ્ન સિંહાના ટીએમસીમાં જવાથી ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.