પાવાગઢ ટ્રસ્ટી મંડળની આજે બેઠક મળી હતી.જેમાં વડોદરા દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા મનાતા મંદિરના સેક્રેટરી પદેથી રાજુ ભટ્ટને દૂર કરવામાં આવ્યા હોવાનો નિર્ણય લેવાયો હતો. આગામી નવરાત્રીના આયોજન મુદ્દે મળેલી બેઠકમાં મુખ્ય મુદ્દો રાજુ ભટ્ટ પર લગાવાયેલા દુષ્કર્મનો આરોપ રહ્યો હતો.પાવાગઢ મંદિર ટ્રસ્ટી મંડળે આજની બેઠકમાં રાજુ ભટ્ટને તત્કાલ અસરથી સેક્રેટરીપદ પરથી છુટ્ટા કરવાનો નિર્ણય કર્યો છે
વડોદરાના ચકચારી એવા દુષ્કર્મ કેસમાં નવો વળાંક જોવા મળ્યો છે. મૂળ હરિયાણાની યુવતી કે જે ખાનગી યૂનિવર્સીટીમાં કાયદાશાખાનો અભ્યાસ કરવા આવી છે તેના પર થયેલા કથિત દુષ્કર્મ કેસમાં અલ્પુ સિંધી નામના બુટલેગર નાણા પડાવવા કારસો રચી રહ્યો હોવાની વાત અશોક જૈનના વકીલે કરી છે.
નાણા ખંખેરવા કારસો -વકીલ
છેલ્લા ત્રણ દિવસથી વડોદરા સહીત રાજ્યભરમાં ચર્ચાના અક્ડોળે ચઢેલા અશોક જૈન,રાજુ ભટ્ટ પર દુષ્કર્મ કેસ સંબંધે વડોદરાના ગોત્રી વિસ્તારમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ પછી મંદિર ટ્રસ્ટ પણ વિવાદમાં આવ્યું છે.ત્યારે દુષ્કર્મ કેસમાં આટા-પાટા શરુ થયા છે.આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટના વકીલ હિતેશ ગુપ્તાએ કહ્યું છેકે, મારા અસીલ પર લગાવાયેલા આરોપ પાયાવિહોણા છે. અલ્પુ સિંધી નામક બુટલેગર યુવતીનો મિત્ર છે અને તેનો ઉપયોગ કરી નાણા પડાવવા માંગે છે. કહેવાય છેકે, યુવતી જ્યારે ફરિયાદ લખાવવા ગઈ ત્યારે અલ્પુ સિંધી પણ સાથે હતો. વકીલ ગુપ્તાએ ઉમેર્યું છે કે, તેમના અસીલ નાર્કો ટેસ્ટ સુધી તૈયાર છે.પરંતુ પોલીસે,યુવતી અને અલ્પુ સિંધીના સંબધો વિષે પણ તપાસ કરવી જોઈએ.
યુવતીના અકાઉન્ટમાં લાખોની આવક-જાવક
મૂળ હરિયાણાની અને વડોદરાની ખાનગી યૂનિવર્સીટીનાં કાયદા શાખામાં અભ્યાસ કરતી યુવતીએ વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કેસ હાઈ-પ્રોફાઈલ બની ગયો છે. વડોદરામાં ચોરે અને ચૌટે આ કેસની જ ચર્ચા ચાલે છે. ત્યારે કહેવાય છે કે, યુવતીના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયાની આવક-જાવક થઇ છે.એક અભ્યાસ કરતી યુવતીના ખાતામાં અંદાજે 40 કે 50 લાખ રૂપિયાની રકમ જમા થવી કે અન્ય ખાતામાં નાણા જમા થવા એ, ઘણી શંકા ઉપજાવે છે. યુવતી અને અલ્પુ સિંધીએ મળીને નાણા પડાવવા કારસો રચ્યો હોવા સાથે અસીલોને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું વકીલ ગુપ્તાએ જણાવ્યું છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.