ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે મુલાકાત માટે તાલિબાને આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ ભારત અને તાલિબાનના પ્રતિનિધિ દોહાની રાજધાની કતારમાં ભારતીય દૂતાવાસમાં મળ્યાં હતા. બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને દેશવાપસી અંગે ચર્ચા થઈ હતી.
તે ઉપરાંત ભારત આવવા માગતા અફઘાની નાગરિકો ખાસ કરીને લઘુમતી સમુદાય અંગે પણ ચર્ચા કરાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રાજદૂત મિત્તલે તાલિબાની લીડર સાથેની મુલાકાતમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બન્ને પ્રતિનિધિઓ એ વાતે સંમત થયા કે અફઘાનિસ્તાન કદી પણ તેની જમીનનો ઉપયોગ ભારતની સામે નહીં કરવા દેય.
તાલિબાની પ્રવક્તાએ પણ ભારતને આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દાને સકારાત્મક રીતે ઉકેલવામાં આવશે.
અગાઉ, તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેંકઝાઇ, જેઓ ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) માં તાલીમ પામ્યા હતા, તેમણે ભારત સાથેના સંબંધો પર મોટી જાહેરાત કરી હતી. સ્ટેંકઝાઈએ કહ્યું છે કે તાલિબાન ભારત સાથે અફઘાનિસ્તાનના રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો ચાલુ રાખવા માંગે છે. કાબુલ કબજે કર્યા બાદ પ્રથમ વખત તાલિબાનના એક ટોચના નેતાએ ભારત સાથેના સંબંધો અંગે પોતાના સંગઠનનો મત વ્યક્ત કર્યો છે. અગાઉ આ મુદ્દે માત્ર તાલિબાન પ્રવક્તા બોલતા હતા.