પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલા લોકોએ એવી માગ કરી છે કે કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે, ડેલ્ટા વેરિયન્ટના વધતા જોખમને જોઈને આ માગ કરવામાં આવી છે.
કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવા કરાઈ માગ
બે એક્સ્પર્ટ એસોસિયેશને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
બે વેક્સિનનું ડિસટન્સ 8 સપ્તાહનું રાખવા કહ્યું
કોરોના વાઈરસ જેમ જેમ મ્યૂટેટ થઈને પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને તેની સાથે બદલાતા પડકારો વચ્ચે દેશના પબ્લિક હેલ્થ સાથે સંકળાયેલાં બે મોટાં એક્સ્પર્ટ એસોસિયેશને કેન્દ્ર સરકારને પત્ર લખીને કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવા ભલામણ કરી છે.
12ને બદલે 8 સપ્તાહનું ડિસટન્સ રાખવાની માગ
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (આઈપીએચએ) અને ઈન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (આઈએપીએસએમ)એ કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું ૧૨ સપ્તાહનું અંતર ઘટાડીને આઠ સપ્તાહ કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.
દેશમાં કોવિશિલ્ડ ટોચ પર
બે ડોઝ વચ્ચેના અંતરને ઘટાડવાની ભલામણના સમર્થનમાં સૌથી મોટી દલીલ એ કરવામાં આવી રહી છે કે વાઈરસના મ્યૂટેશન સતત બદલાઈ રહ્યા છે અને નવા સ્ટ્રેન ફેલાતા જાય છે. હાલ કોવિશિલ્ડ વેક્સિન દેશના વેક્સિન અભિયાનમાં ટોચ પર છે.
ડેલ્ટા વેરિયન્ટથી બચવા અંતર ઘટાડવાની કરી માગ
દેશમાં જ્યારે વેક્સિનેશન અભિયાન શરૂ થયું ત્યારે બંને ડોઝ વચ્ચે ૨૮થી ૪૨ દિવસનું અંતર હતું. ત્યારબાદ બંને ડોઝ વચ્ચેનું અંતર ૨૮થી ૫૬ દિવસનું કરવામાં આવ્યું હતું અને હવે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ૮૪થી ૧૧૨ દિવસનું છે. આઈપીએચએનાં ડો.સુનીતા ગર્ગે જણાવ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમણ જલદી ફેલાય છે અને તે ગંભીર હોવાથી બંને ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવાની જરૂર છે.