ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ધો.12ના પરિણાથી ના ખુશ હોય તેવા 19 વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા યોજાશે
27 સપ્ટેમ્બરથી ચાર દિવસ ચાલશે પરીક્ષા
બોર્ડે માત્ર 19 વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કર્યુ
માત્ર 19 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરિક્ષા યોજશે
કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં GSEB એ ધો.10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ માસ પ્રમોશનના પરિણામથી અસંતુષ્ટ થયેલા ધો. 12ના માત્ર 19 વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષાનું આયોજન કરવાની ફરજ પડી છે. બોર્ડે પરિણામથી અસંતુષ્ટ હોય તેવા નિયમિત વિદ્યાર્થીઓ માટે અલગથી પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે રાજ્યના 19 વિદ્યાર્થીઓ પરિણામથી ના ખુશ હોવાથી શાળામાં માર્કશીટ જમા કરાવી દીધી હતી. હવે આ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા વહેલી પૂરી કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે.
વિદ્યાર્થીઓએ માર્કશીટ જમા કરાવતાં પુનઃ પરીક્ષા લેવાનું નક્કી કર્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12ના પાસ થયેલા નિયમિત વિદ્યાર્થીઓ પૈકી પરિણામથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓને તેમનું પરિણામ જમા કરાવી પુનઃ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. બોર્ડ દ્વારા આ અંગે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. બોર્ડના પરિણામથી સંતુષ્ટ ના હોય અને જેમણે નિયત સમય મર્યાદામાં શાળામાં બોર્ડની માર્કશીટ જમા કરાવી છે તેના માટે બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવનાર છે.
આ પ્રમાણે હશે ટાઈમ ટેબલ
બોર્ડ દ્વારા પરિણામથી અંસતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધીના સેશનમાં અંગ્રેજી પ્રથમ અને દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરના સેશનમાં 2.30થી 5.45 સુધીમાં ગુજરાતી અને હિન્દી પ્રથમ ભાષા તેમજ ગુજરાતી દ્વિતિય ભાષાની પરીક્ષા લેવાશે. આ જ રીતે 28 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન અને બપોરના સેશનમાં નામાના મૂળ તત્વો, મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્ર, 29 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં આંકડાશાસ્ત્ર, ઈતિહાસ, હિન્દી દ્વિતિય ભાષા તેમજ બપોરના સેશનમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ, સંસ્કૃત અને 30 સપ્ટેમ્બરના રોજ સવારના સેશનમાં વાણિજ્ય વ્યવસ્થા, ભૂગોળ તેમજ બપોરના સેશનમાં કમ્પ્યૂટર તેમજ સમાજશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. આમ, 27 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી પરીક્ષા 4 દિવસમાં પૂર્ણ કરવા માટે એક દિવસમાં બે સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.