દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે હજી પણ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદનો માર લોકોને સહન કરવો પડશે. બન્ને વિસ્તારમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સિસ્ટમ તેમજ લો પ્રેશર આ બન્ને સિસ્ટમ મધ્યપ્રદેશમાં સક્રીય થઈ છે.
જેના કારણે મધ્યપ્રદેશમાં પણ જોરદાર વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી ફરી મેઘરાજા મનમુકીને વરસી શકે છે. દીમ દમણ અને સોમનાથમાં દરિયો ન ખેડવા માછીમારોને સુચના આપવામાં આવી છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ આવવાની સંભાવના છે.
તાપી સુરત ડાંગ જામનગર અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 44 ટકા વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષની સરખામણીએ 3 ટકા ઓછો નોંધાયો છે.
આપને જણાવી દઇએ કે આ તરફ નવસારી જિલ્લામાં વરસાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. બારે મેઘ ખાંગા થયા છે. ભારે વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી બેફામ રીતે વહી રહી છે.જેના કારણે ગણદેવી તાલુકાના 28 જેટાલા ગામોને અલર્ટ કરાયા છે.
તો બીજી તરફ વાંસદા તાલુકામાં આવેલા જૂજ અને કેલીયા ડેમ ગણતરીની કલાકોમાં જ ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે. જેને લઈને પણ નદી કાંઠાના 36 ગામડાઓને અલર્ટ આપવામાં આવ્યું છે. અનેક ગામડાઓમાં નદીઓના પાણી પણ ઘુસી ગયા છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને હજૂ પણ પાણીનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે.
આ સાથે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ પ્રદેશમાં પણ બારે મેઘ ખાંગા થયા છે મેઘરાજાના કહેરથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે તાજેતરમાં આવેલ સમાચાર પ્રમાણે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.