યુક્રેન અને રશિયા વચ્ચે મહાયુદ્ધનું એલાન થતાં ભારત સહિત ગુજરાતના અનેક વિદ્યાથીઓ મુશ્કેલીમાં, પરિવારો પર ચિંતાના વાદળો ફાટ્યા
યુક્રેન મુદ્દે બોલ્યાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
"અધિકારીઓ કેન્દ્ર સરકારના સંપર્કમાં"
"સરકાર બનતી તમામ મદદ કરશે"
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલા ફૂંકાઈ ચૂક્યું હતું અને ગુરૂવારે યુદ્ધ શરૂ થઈ જતા સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે ભારતીય નાગરિકોને દેશ પરત લાવવા માટે સરકાર પણ કામે લાગી ગઇ હોવા છતાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ દેશ પરત ન આવી શકતા પરિવાર ચિંતિત બની જવા પામ્યો છે. ત્યારે સમગ્ર મામલે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે ભારત સરકાર સતત ચિંતિત છે. રાજ્યના 2500થી વધુ નાગરિકો યુક્રેનમાં છે તેથી ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે. મળતી માહિતી મુજબ દેશ અને રાજ્યના નાગરિકો સુરક્ષિત છે
વાલીઓ કેન્દ્ર સરકાર પર ભરોષો રાખે: જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ રશિયા યુક્રેનમાં યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા વિદ્યાથીઓના પરિવારને દિલાસો આપતા કહ્યું છે કે વાલીઓ કેન્દ્ર સરકાર પર ભરોષો રાખે, પાટણના સૌથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. રાજ્યમાં એક કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે
યુક્રેનમાં ભારત એમ્બેસી વિદ્યાર્થીઓને એકઠા કરી રહી છે: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
યુક્રેનમાં ભારતીયો મુદ્દે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ નિવેદન આપતા કહ્યું છે કે યુક્રેનમાં ભારત એમ્બેસી વિદ્યાર્થીઓને એકઠા કરી રહી છે. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ કેન્દ્ર સરકારના સંપર્કમાં છે. સત્વરે સરકાર બનતી તમામ મદદ કરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના 80 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા
ગુરૂવારે રશિયાએ એકા એક યુક્રેનમાં સૈન્યકાર્યવાહી કરીને યુદ્ધ શરૂ કરી દીધું હતું. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના 80 વધુ વિદ્યાર્થીઓ યુક્રેનની રાજધાની કીવમાં ફયાયા છે. આ તમામ વિદ્યાર્થીઓએ કીવ મેટ્રો સિટીના સ્ટેશન ઉપર આશરો લીધો હતો. વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનોને ફોન દ્વારા સંપર્ક કરીને જણાવ્યું હતું કે, હાલ તેઓની પાસેથી એક દિવસથી વધુ ખાવા-પીવાની વ્યવસ્થા ન હોવાથી ભારે મુશ્કેલી સામનો કરી રહ્યાં છે. આમ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી પરિવારનો જીવ અદ્ધરતાલ થઈ ગયા હતાં.
ગુજરાત સરકારે જાહેર કરેલો નંબરઃ 07923351900, કેન્દ્ર સરકારે જાહેર કરેલા નંબરઃ 1800118797, +91-11-23012113, +91-11-23014104, +91-11-23017905.
ફ્લાઈટ કેન્સલ થઈ હોવાથી આ વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આ વિદ્યાર્થીઓ હવે વતન પરત આવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. પાદરાની અદિતી પંડ્યા અને અન્ય 7 વિદ્યાર્થીઓની ફ્લાઈટ કેન્સલ થઈ હોવાથી આ વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા હોય તેવી સ્થિત છે. બીજી તરફ અમદાવાદમાં ST નિગમમાં નોકરી કરતા નીતિન પંડ્યાના પુત્ર અને પુત્રવધૂ યુક્રેનમાં ફસાયા
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ઘમાં પાટણ જિલ્લાના 100 થી વધુ વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. તેમાં પણ 30 થી વધુ વિદ્યાર્થીઓ પાટણ શહેરના છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો આ અંગે પાટણના ધારાસભ્યને રજૂઆત કરી હતી. જે બાદ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા પાટણના બાળકો સહી સલામત રીતે પરત આવે તેવી વ્યવસ્થા માટે માંગ કરી હતી. આ સાથે ગોંડલની બે વિદ્યાર્થીનીઓની અને અરવલ્લી જિલ્લાના બે યુવકો ફસાતા તેમના પરિવારો ચિંતત બન્યા છે.
વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા
યુ્ક્રેનમાં યુદ્ધની સ્થિતિને પગલે એરપોર્ટ પરથી જ વિદ્યાર્થીઓને પરત મોકલ્યા હતા. જેના કારણે હવે યુદ્ધની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજી ફેલાઈ જવું સ્વાભાવિક છે. આ બાબતે વિદ્યાર્થીઓને પરત લાવવા કેન્દ્ર સરકાર પાસે મદદની આજીજી કરવામાં આવી રહી છે પરંતુ એરસ્પેસ બંધ હોવાથી કેન્દ્ર સરકાર પણ હવે આ મામલે કશું કરી શકે એવી સ્થિતિમાં નથી.