લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજ્યના બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, બંને પક્ષોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે. માહિતી મળી રહી છે કે, અગામી 26મી તારીખે સાબરકાંઠા ખાતે ભાજપના કાર્યક્રમમાં CM રૂપાણીની હાજરીમાં મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે.
તમને જણાવી દઇએ કે, મહેન્દ્રસિંહ વાઘેલા હાલ રાજકીય ગુપ્તવાસ ભોગવી રહ્યા છે. જ્યારે ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બને તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગત અષાઢી બીજના દિવસે કોંગ્રેસ સાથે છેડો ફાડી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. તે વખતે અટકળો હતી કે, મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ચૂંટણીની ટિકિટ મળી શકે છે, પરંતુ લગભગ ત્રણ મહિનામાં જ મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધુ હતું. તેમણે આ રાજીનામું આપતી વખતે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો પત્ર લખી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીને પત્ર લખી સોંપ્યો હતો.
તે સમયે એક વાત એવી પણ વહેતી થઈ હતી કે, મહેન્દ્ર સિંહ વાઘેલા દ્વારા ભાજપમાં જોડાવાથી પિતા શંકરસિંહ વાઘેલા નારાજ હતા અને પિતાની નારાજગી દુર કરવા માટે તેમણે આ પગલું લીધુ હોઈ શકે છે. જોકે, લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેન્દ્ર સિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાઈ જશે અને ભાજપ તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી શકે છે, તેવી અટકળો તેજ બની છે.