અલ્પેશ ઠાકોર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઠાકોર સેનાના હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઠાકોર સેનાના હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહે પણ દાવો કર્યો છે કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અલ્પેશે પ્રિપ્લાન રચ્યું હોવા ચર્ચા વહેતી થઈ છે.
ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમાએ છે. ભાજપ અને કૉંગ્રેસ પોતાનું પલડું મજબૂત કરવા અને ગમે તે કરીને જીતવા માટે દમ લગાવી રહી છે. ત્યારે કૉંગ્રેસ માટે વધુ એક ફટકા સમાન સમાચાર છે. કૉંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. ઠાકોર સેનાની કૉર કમિટીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આગામી 24 કલાકમાં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે. સૂત્રોનાં કહેવા પ્રમાણે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે એટલું જ નહીં, પરંતુ તે ભાજપમાં પણ જોડાશે. કહેવામાં આવ્યું રહ્યું છે કે અલ્પેશનું રાજીનામું ઑપરેશન રાધનપુરનો ભાગ હોઇ શકે છે. આ પહેલા પાટણ લોકસભા લડવા મુદ્દે અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસ વચ્ચે નારાજગી હતી, ત્યારે હવે અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે તેવા સમાચારે ખળભળાટ મચાવી દીધો છે.
તો આ મામલે ઠાકોર સેનાના રામજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઠાકોર સેનાનો નથી. ઠાકોર સેના કોંગ્રેસની સાથે જ રહેશે. અલ્પેશ કોંગ્રેસ છોડે તો તેમનો અંગત નિર્ણય હશે. કારણ કે બેઠકમાં અમને જાણ કરવામાં આવી નથી. બેઠકમાં અમને બોલાવવામાં નથી આવ્યા. ઠાકોર સેનાને કોંગ્રેસથી કોઈ વાંધો નથી. અલ્પેશ કેમ નારાજ છે તેની બેઠકમાં ચર્ચા કરીશુ.
ઉલ્લેખનીય છે કે ઠાકોર સેનાએ પણ કૉંગ્રેસથી છેડો ફાડવાનું શરૂ કરી દીધું છે. બનાસકાંઠા અને મહિસાગરમાં ઠાકોર સેનાએ કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આ ઉપરાંત પાટણ કૉંગ્રેસનાં પૂર્વ એમએલએ જોધાજી ઠાકોર પણ આજે ભાજપમાં જોડાયા છે.