રેશનકાર્ડના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે.ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રેશનકાર્ડને લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારી રાશનની દુકાનોમાંથી રાશન લેવાવાળા માટે લાયકાતોના ધોરણોમાં ફેરફાર કરાઈ રહ્યો છે.આ અંતર્ગત, નવા ધોરણ બદલવાનું બંધારણ લગભગ તૈયાર છે. આ અંગે રાજ્ય સરકારો સાથે અનેક રાઉન્ડની બેઠકો પણ યોજાઈ છે.
શ્રીમંત લોકો પણ NFSA એક્ટનો લાભ લઈ રહ્યા છે
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA)નો લાભ લઈ રહ્યા છે. તેમની વચ્ચે એવા ઘણા લોકો છે જે આર્થિક રીતે સમૃદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને, જાહેર વિતરણ મંત્રાલય ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.
ફક્ત લાયક વ્યક્તિઓને જ લાભ મળશે
આ અંગે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી ધોરણોમાં ફેરફારને લઈને રાજ્યો સાથે બેઠક યોજાઈ રહી છે. રાજ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનોનો સમાવેશ કરીને, પાત્રો માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ધોરણોને આ મહિને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. નવા ધોરણના અમલ પછી, ફક્ત લાયક વ્યક્તિઓને જ લાભ મળશે, અયોગ્ય લોકો લાભ મેળવી શકશે નહીં. આ ફેરફાર જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.
વન નેશન, વન રાશન કાર્ડ યોજના
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2020 સુધી 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 'વન નેશન, વન રાશન કાર્ડ (ONORC)સ્કીમ લાગુ કરવામાં આવી રહી છે. લગભગ 69 કરોડ લાભાર્થીઓ એટલે કે (NFSA)હેઠળ આવતા વસ્તીના 86 ટકા લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. દર મહિને લગભગ 1.5 કરોડ લોકો એક સ્થળેથી બીજી જગ્યાએ જઈને લાભ લઈ રહ્યા છે.