નોકરી મેળવી જ ચૂક્યા છો તો ભરતી પર તરાપ કેમ?વિદ્યાસહાયકની 3300 જગ્યા સામે હાલના 3112 શિક્ષકોએ અરજી કરી કારણ માત્ર જિલ્લા ફેર અને વતન તરફ દોટ
નોકરીની રાહ જોતા ઉમેદવારને શું મળશે?
વિદ્યાસહાયકોના દર્દને શિક્ષકો સમજશે?
નોકરી લાગી જ છે તો હવે નવી નોકરીમાં અરજી કેમ?
3300 વિદ્યાસહાયકની ભરતીમાં 1થી 5માં 1300 વિદ્યાસહાયકોની ભરતી થશે અને 6થી 8માં 2000 શિક્ષકની ભરતી પ્રક્રિયાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. પણ 3300 નવી જગ્યા પર હાલના નોકરી પર ચાલૂ 3112 શિક્ષકોએ અરજી કરી છે જેથી હાલ જે લાંબા સમયથી આ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમણે મોટો ફટકો પડે તેમ છે.
નોકરી કરતાં શિક્ષકોનો મેળ પડશે અને બેરોજગાર રહી જશે તો..!
3300 વિદ્યાસહાયકની ભરતી માત્ર બદલી કેમ્પ થઈ જાય તેવી સંપૂર્ણ શક્યતા સેવાઇ રહી છે. મોટા આંદોલન પછી આવેલી ભરતીમાં બેરોજગારોનો મેળ પડવાની શક્યતા ઓછી છે કારણ કે 3300 નવી જગ્યા પર હાલના નોકરી પર ચાલૂ 3112 શિક્ષકોએ અરજી કરી છે જેનું એક માત્ર કારણ છે વતનથી દૂરના જિલ્લામાં નોકરી કરતા ચાલૂ શિક્ષકોએ નવી ભરતી પર તરાપ મારી છે.
હાઈકોર્ટે 5 વર્ષનાNOCના નિયમ મામલે શું કહ્યું?
રાજ્ય સરકારે કરેલો 5 વર્ષના NOCના નિયમને ચાલૂ શિક્ષકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને HCએ જ્યાં સુધી ચૂકાદો ન આવે ત્યાં સુધીની ભરતીમાં ભાગ લેવા માટે છૂટ આપી છે. જેના પગલે હાઈકોર્ટે આપેલી છૂટ પછી હાલમાં નોકરી કરી રહેલા 3112 શિક્ષકોએ અરજી કરી છે. આ 3112 શિક્ષકો ઉંચુ મેરિટ ધરાવે છે માટે નવા શિક્ષકોનો મેળ પડવાની શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે.
શું છે બેરોજગાર ઉમેદવારોની માંગ?
લાંબા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા બેરોજગાર ઉમેદવારોની માંગ છે કે રાજ્ય સરકાર આ ભરતીમાં કોઈ રસ્તો ન કાઢે તો આંદોલનથી મેળવેલી ભરતીનો તેમણે પણ લાભ મળે સાથે જ એ વાત પર પણ પ્રકાશ પાડયો છે કે જો હાલના ઉંચા મેરિટવાળા શિક્ષકોને નવી ભરતીમાં નોકરી લાગે તો ફરી પાછી જગ્યાઓ ખાલી પડે અને ખાલી જગ્યાઓ ભરવા માટે ફરી પાછું ઉમેદવારોએ આંદોલન કરવું પડે..! આપને જણાવી દઈએ કે RTIમાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં ધો.1થી8માં 18 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેની સામે ટેટ-1, 2 પાસ 1 લાખ 80 હજાર ઉમેદવારો રાહ જૂએ છે. હાલ નવી માત્ર 3300 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.