મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગને કારણે યાર્ડમાં રહેલો લાખો રૂપિયાના કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
મોરબી માર્કેટ યાર્ડમાં વિકરાળ આગ
12 હજાર મણથી વધુ કપાસનો જથ્થો બળીને ખાખ
સરકાર સહાય ચૂકવે તેવી કોંગ્રેસની માંગ
રાજ્યમાં હવે આગની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ એમ લાગે છે, અવાર નવાર લાગતી આગની ઘટનાઓમાં ક્યારે મોટી જાનહાનિ પણ સર્જાતી હોય છે, જેમાં ચીજવસ્તુઓથી લઈને માલ-સામાન બળીને ખાખ થઈ જતો હોય છે. ત્યારે આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે લાખો રૂપિયાના કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
મોરબી માર્કેટ યાર્ડમાં વિકરાળ આગ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના સેડમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતોનો લગભગ 12 હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગને પગલે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેને લઈ 4થી વધુ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે તે પહેલા આગ બીજા શેડની અંદર પ્રવેશતા કપાસ સહિતના જણસ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
12 હજાર મણથી વધુ કપાસનો જથ્થો બળીને ખાખ
આગામી દિવસોમાં દિવાળી આવી છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લાવ્યા હતા
સરકાર સહાય ચૂકવે તેવી કોંગ્રેસની માગ
આ દરમિયાન કોઈ કારણસર બપોરના અરસામાં કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર 1 ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણ તાલુકાના ખેડૂતો 50 થી લઈને 200 મણ સુધીનો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં અને આગ લાગવાના કારણે ખેડૂતો માલ બળીને ખાખ થઇ ગયો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અમુક કપાસની હરાજી કરવામાં આવી હતી જોકે જોખીને તે લેવામાં આવ્યો ન હતો જેથી કરીને વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવેલ કપાસ હજુ તેઓએ લીધેલ ન હતો જેથી કરીને ખેડૂતો અને વેપારી બંનેને નુકશાન થયેલ છે
આગ લાગવાનું કારણ અકબંધ
જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે પરંતુ અહીંયાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું હતું અને મોરબી નગરપાલિકાના ત્રણથી વધુ ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો જોકે આગને કાબુમાં લેવામાં સમય લાગવાના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધારાસભ્ય લલિતભાઈએ ખેડૂતો તેમજ જે વેપારીઓનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે તેઓને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.