આજે ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર માટે છેલ્લો દિવસ છે ત્યારે આ વખતે ચૂંટણીમાં પાર્ટીઓએ સુરતમાં નિરસતા દાખવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આજે પ્રચારનો છેલ્લો દિવસ
ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ન જોવા મળ્યા
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં જોર બતાવ્યું
સુરત મનપા ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપામાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા મોટા પાયે તૈયારી કરવામાં આવી છે.ગુજરાતમાં 6 મનપા માટે 21મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે અને આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જનસંપર્ક માટે ઝંઝાવાતી પ્રચાર કરવા જઈ રહ્યા છે. જોકે આ ચૂંટણીમાં સુરતમાં ચૂંટણી માટેનો પ્રચાર અત્યાર સુધી નીરસ રહ્યો છે.
સુરતમાં આ મનપા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના મોટા મોટા નેતાઑ પ્રચારમાં માટે નિરસતા દાખવી છે. સુરતમાં પ્રચાર ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો વગરનો પ્રચાર રહ્યો છે.
ભાજપ સી.આર.પાટીલ અને હાઈટેક પ્રચારના ભરોસે રહ્યું
આ વખતે ચૂંટણીમાં સુરત વિસ્તાર માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને હાઇટેક પ્રસારના ભરોસે રહ્યું છે. ભાજપ દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રચાર કરવામાં આવ્યો અને સુરત વિસ્તાર પાટીલનો ગઢ માનવામાં આવે છે તેથી સુરતમાં પાર્ટીએ આ ભરોસે જ પ્રચાર કર્યો
કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં હથિયાર હેઠા મુકી દીધા
બીજી તરફ કોંગ્રેસે તો આ ચૂંટણીમાં સુરત માટે જાણે હથિયાર જ મૂકી દીધા. કોંગ્રેસના કોઈ સ્ટાર પ્રચાર સુરતમાં ફરક્યાં પણ નહીં. કોંગ્રેસના ઉમેદવાર સાથે મિત્રતા નિભાવવા માટે કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે માંડ એક સભા કરી.
સુરતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં જોર બતાવ્યું
જોકે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સુરતમાં જોર બતાવ્યું છે. પાર્ટીના મોટા નેતાઑએ સુરતમાં આવીને પ્રચાર કર્યો હતો અને કાર્યકર્તાઓએ સુરતમાં એડીચોંટિનું જોર લગાવ્યું છે. જોકે હવે જોવાનું એ રહે છે કે સુરતની જનતા આ વખતે કોને પોતાનો કિંમતી મત આપે છે.